કહીં તુમ નહીં ગયે... ગૂગલ ઉજવે છે જગજીતનો જન્મ દિવસ
મુંબઈ, 8 ફેબ્રુઆરી : ગઝલ સમ્રાટ જગજીત સિંહનું નામ આવતાં જ અને તેમના નિધન વખતે પણ તેમની કોઈ ગઝલની સૌથી પ્રખ્યાત પંક્તિનો ઉલ્લેખ થયો હોય, તો તે હતી કહાં તુમ ચલે ગયે.... નિધન અને શોકનો કાળ ખતમ થતાં જ લોકો કદાચ જગજીત સિંહને ભુલી ગયાં, પરંતુ આજે અચાનક સવારે જગજીત સિંહ પુનઃ યાદ આવી ગયાં. ગૂગલ ખોલતાં જ જગજીત સિંહ પ્રકટ થયાં. તેમને શોધવા (સર્ચ) પડ્યા નહીં, પણ ગૂગલે પોતાના લોગો સાથે જગજીત સિંહને તેમની 72મી જયંતીએ જાણે પુનઃ જીવંત કરી નાંખ્યાં.
જગજીત સિંહ જોકે કોઈ ઓળખના મહોતાજ નથી. તેમના અવાજના દીવાનાઓના દિલોમાં તેઓ આજે પણ ધબકે છે. આજે તેમની જન્મ જયંતી છે કે જે તેમના ફૅન્સ પોત-પોતાની રીતે ઉજવી રહ્યાં હશે, પરંતુ દુનિયાના સૌથી મોટા સર્ચ એંજિન ગૂગલે જગજીત સિંહને જુદા જ પ્રકારનું સન્માન આપી યાદ કર્યાં છે. ગૂગલે પોતાના સર્ચ પેજ ઉપર જગજીત સિંહની તસવીરને સ્થાન આપ્યું છે કે જે એક મોટો આદર કહેવાય. કદાચ આટલો મોટું સન્માન ગૂગલ દ્વારા આ અગાઉ કોઈ પણ ભારતીયને નહિં મળ્યું હોય.
આપને જણાવી દઇએ કે મૌસિકીના બાદશાહ અને ગઝલના પ્રણેતા જગજીત સિંહનો જન્મ દિવસ છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે સદેહે હાજર નથી, પરંતુ પોતાની ગાયિકી અને મખમલી અવાજના પગલે લાગતું જ નથી કે તેઓ આપણાંથી આટલી દૂર ચાલ્યા ગયાં છે. જગજીત સિંહ સંગીતના એવા ફનકાર હતાં કે જેમની સરખામણી કોઈની સાથે કરી શકાય નહીં. દિલ, મહોબ્બત, જઝ્બાત, જુદાઈને સુરોમાં વ્યક્ત કરવાં તે કોઈ જગજીત સિંહ પાસેથી શીખે. તેમના સંગીત સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આજે ભીની આંખે તેમને યાદ કરી રહી છે અને તેમની અવાજમાં જ કહી રહ્યાં છે કહાં તુમ ચલે ગયે? પરંતુ જગજીત સિંહ પોતાની પાછળ સુરોને જે વારસો છોડી ગયાં છે, તે સાંભળી એવું કહી શકાય કે નહીં તુમ કહીં ગયે...
હોઠે સ્મિત તથા આંખે ઉષ્માની વાત કરનાર જગજીત સિંહનો જન્મ 8મી ફેબ્રુઆરી, 1941ના રોજ રાજસ્થાનના ગંગાનગર ખાતે થયો હતો. તેમના પિતા સરદાર અમર સિંહ ધમાની ભારત સરકારના કર્મચારી હતાં. જગજીતનું બાળપણનું નામ જીત હતું. કરોડો શ્રોતાઓના પગલે જીત સિંહ થોડાંક જ દશકાઓમાં જગને જીતનાર જગજીત બની ગયાં. શરુઆતનું શિક્ષણ ગંગાનગરની ખાલસા સ્કૂલે થઈ અને વધુ અભ્યાસ માટે જલંધર આવી ગયાં. ડીએવી કૉલેજ ખાતેથી સ્નાતકની ડિગ્રી લીધા બાદ તેમણે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય ખાતેથી ઇતિહાસમાં અનુસ્નાતકની ડિગ્રી હાસલ કરી. તેમનને પ્રથમ બ્રેક ગુજરાતી ફિલ્મ માટે મળ્યું, પરંતુ પછી સંગીતના ઝનુને તેમને માયાનગરી મુંબઈ પહોંચાડી દીધાં કે જ્યાં તેમણે પોતાના સુરોથી તે ઇબાદત લખી નાંખી કે જેને મટાડવી અશક્ય છે.
પોતાના અવાજથી લોકો વચ્ચે ઓળખ સ્થાપિત કરનાર જગજીત સિંહે 1969માં જાણીતા ગાયિકા ચિત્રા સાથે પ્રેમલગ્ન કર્યાં. અર્થ, પ્રેમગીત, લીલા, સરફરોશ, તુમ બિન, વીર ઝારા એવી ફિલ્મો છે કે જેના દ્વારા તેઓ હિન્દી સિને જગતની ટોચે પહોંચ્યાં, પરંતુ પોતાના સ્ટેજ શો દ્વારા તેમણે ઉર્દૂથી પરિપૂર્ણ ગઝલોને સામાન્ય વ્યક્તિનો અવાજ બનાવી દીધી. ફિલ્મ સ્ટાર્સ જ નહીં, પણ અટલ બિહારી જેવા કવિની રચના ગાઈ જગજીત સિંહે જણાવી દીધું કે તેઓ માત્ર ગીતકારોના ગીતો જ ગાઈ શકે, તેવું નથી. પંજાબી, બંગાળી, ગુજરાતી, હિન્દી અને નેપાળી ભાષાઓમાં ગાનાર જગજીત સિંહ પદ્મશ્રી તથા પદ્મવિભૂષણથી સન્માનિત થઈ ચુક્યાં છે. પોતાના યુવાન પુત્રને એક અકસ્માતમાં ગુમાવ્યાનો આઘાત તેમની ગઝલો અને રચનાઓમાં સામાન્ય રીતે સંભળાતો હતો, પરંતુ ખૂબસૂરત અવાજના માલિક જગજીત સિંહ 10મી ઑક્ટોબર, 2011ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમના ગયા બાદ સંગીતના પુજારીઓએ જણાવ્યુ હતું કે જગજીત સિંહનું સ્થાન કોઈ ન લઈ શકે, પરંતુ લોકોના ધબકારમાં તેમના અવાજની કશિશ કાયમ જીવંત રહેશે. તેઓ હંમેશા તેમના સુરો દ્વારા આપણી વચ્ચે જ રહેશે. એટલે જ કહી શકાય... નહીં તુમ કહીં ગયે... આવી અમર શખ્સિયતને વનઇન્ડિયા પરિવાર પણ શત્ શત્ નમન કરે છે.