કૉમેડીના હથિયાર વડે આપ્યો અણ્ણાનો સાથ
નવી દિલ્હી, 25 ઑક્ટોબર: કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાના મોતના આઘાતમાંથી બૉલીવુડ ઉગર્યું પણ નહોતું કે ગુરુવાર સવારનું પ્રથમ કિરણ બૉલીવુડને વધુ એક દર્દ આપી ગયું. પોતાના હાસ્ય અભિનય અને કટાક્ષ વ્યંગ્ય વડે લોકોને હસાવનાર જાણીતા હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીનું આજે સવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. વ્યવસાયે એંજીનિયર જસપાલ ભટ્ટી સડક માર્ગે કાર દ્વારા જલંધરથી શાહકોટ જઈ રહ્યાં હતાં, ત્યારે તેમની કાર એક ટ્રૉલી સાથે અથડાઈ પડી.
આ અકસ્માતમાં તેમના પુત્ર જસરાજ ભટ્ટીને પણ ઈજાઓ થઈ છે. જસપાલની ઉંમર 57 વર્ષ હતી અને તેઓ પોતે કાર ચલાવી રહ્યા હતાં. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો છે.
ભ્રષ્ટાચાર પર હુમલો
હાસ્ય અભિનય અને કટાક્ષ ભર્યા વ્યંગ્ય માટે જસપાલ ભટ્ટીના જેટલાં વખાણ કરવામાં આવે ઓછા છે. જો સ્પષ્ટ શબ્દોમાં કહિએ તો તેમના મોત સાથે જ કૉમેડીના એક યુગનો અંત આવી ગયો છે. દેશના ચાર્લી ચૅપલિનનું બિરૂદ પામનાર ભટ્ટીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.
કૉમેડીને હથિયાર બનાવી જસપાલ ભટ્ટીએ સામાન્ય માણસની તકલીફો માટે બહુ સંઘર્ષો કર્યાં. જસપાલ સમાજસેવી અણ્ણા હઝારે સાથે ઇન્ડિયા અગેઇંસ્ટ કરપ્શનના બૅનર હેઠળ દિલ્હીના જંતર-મંતર સુધી ગયાં અને પોતાની શૈલીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ હુમલો કર્યો. જસપાલની આવનાર ફિલ્મ પાવર કટ પણ ભ્રષ્ટાચાર ઉપર હુમલો જ છે. જસપાલ ભટ્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશમાં અલખ જગાવવા લખનૌ, હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ગયા હતાં.
હસાવનાર રવડાવી ગયો
જસપાલ ભટ્ટીનો જન્મ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. તેઓ એંજીનિયર હતાં, પરંતુ તેમને આ વ્યવસાય રુચ્યો નહિં અને તેમણે કૉલેજકાળથી જ પોતાનું જીવન હાસ્ય તેમજ વ્યંગ્યના નામે કરી દીધું. કૉલેજકાળથી જ તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હાસ્ય તેમજ વ્યંગ્ય વડે અવાજ ઉઠાવવો શરૂ કર્યો. ટેલીવિઝનની દુનિયામાં આવતા અગાઉ ભટ્ટીએ ચંડીગઢના સમચાર પત્ર ધ ટ્રિબ્યૂનમાં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ફિલ્મ હોય કે ટીવી કે પછી ગંભીર મુદ્દાઓ, ભટ્ટીએ કાયમ લોકોના ચેહરે સ્મિત જ વિખેર્યું. પરંતુ આજે બેહદ દુઃખદ ક્ષણ છે કારણ કે દેશને હસાવનાર આજે દેશને રવડાવી ગયો.