સંગીતકાર જતિન-લલિતના લાપતા બહેનનું કંકાલ મળ્યું
મુંબઈ, 30 જાન્યુઆરી : જાણીતી સંગીતકાર બેલડી જતિન-લલિતા અને ગાયિકા સુલક્ષણા તથા વિજયતા પંડિતના મોટા બહેન સંધ્યા સિંહનું કંકાલ મળી આવ્યું છે. તેઓ છેલ્લા 49 દિવસોથી ગુમ હતાં. સોમવારે મુંબઈના પાલમ બીચ રોડ ઉપર ડીપીએસ નજીક મળી આવેલ કંકાલની ઓળખ સંધ્યા સિંહ તરીકે થઈ છે.
પોલીસે કંકાલને ડીએનએ પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. જોકે શબ ઉપરથી મળેલ મંગળસૂત્રના રુદ્રાક્ષ તેમજ દાંતો પર લાગેલી કૅપના આધારે પોલીસે મૃતદેહની સંધ્યા સિંહ તરીકે ઓળખ કરી છે. આ અકસ્માત બાદ જતિન-લલિત પરિવાર આઘાતમાં છે. પોલીસે આ અંગે કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે સંધ્યા જયપ્રકાશ સિંહ ગત 13મી ડિસેમ્બર, 2012ના રોજ ગુમ થયા હતાં. તેઓ સવારે 11 વાગ્યે બૅંકના કામે નવી મુંબઈના નેરૂલ ખાતે ગયા હતાં, પરંતુ ત્યારથી તેઓ ઘરે પરત ફર્યા નહોતાં. કહેવાય છે કે સંધ્યાને વીસ લાખ રુપિયાના દાગીના સાથે તેમની એક બહેનપણીએ બૅંક પાસે સવારે 11.30 વાગ્યે છોડ્યા હતાં, પરંતુ તે દિવસે બૅંકમાં સંધ્યાના નામે કોઈ પણ પ્રકારનું લેણ-દેણ થયું નહોતું. સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત જેવી જાણીતી ફિલ્મી હસ્તીઓના બહેન હોવા છતાં સંધ્યાએ ક્યારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ રુખ ના કર્યો હતો. 50 વર્ષીય સંધ્યાએ કસ્ટમ અને સેંટ્રલ એક્સાઇઝ કમિશ્નર જયપ્રકાશ સિંહ સાથે લગ્ન કર્યા હતાં.
સંધ્યાના ગુમ થયા બાદથી પરિવારના લોકોને લાગતુ હતું કે તેમનુ અપહરણ દાગીનાની લાલચમાં કરાયું હશે. તેમને આશા હતી કે લુંટારૂઓ દાગીના લીધા બાદ તેમને છોડી દેશે, પરંતુ એવું થયું નહીં. સંધ્યાના પતિએ સંધ્યાના ખબર આપનારને 5 લાખ રુપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ સંધ્યાના શબના ટુકડાં કરી દેવાયા હતાં. તેથી માત્ર કેટલાંક ભાગો જ બરામદ થઈ શક્યાં છે. લલિતે જણાવ્યું કે તેમના બહેનની હત્યા નિર્મમ રીતે કરાઈ છે. લુંટારૂઓએ જો દાગીના જોઇતા હોત, તો તેઓ લઈ લેત, હત્યા કેમ કરત? સંધ્યાના શરીરના ટુકડાં કરી દેવાયા હતાં અને કેટલાંક ભાગો જ હાસલ થઈ શક્યાં છે.