મારો પુત્ર ગુનેગાર હોય, તો સજા થવી જ જોઇએ : ઝરીના
મુંબઈ, 14 જૂન : સ્વર્ગસ્થ બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલા સૂરજ પંચોલીના માતા ઝરીના વહાબે જણાવ્યું - હું રાબિયા (જિયાના માતા)ની આ વાતથી સંમત છું કે મારો પુત્ર જિયાને લાયક નહોતો, કારણ કે જિયાને એક એવા શખ્સની જરૂર હતી કે જે તેની સંભાળ રાખી શકે.
રાબિયા જિયાની આત્મહત્યા બાદ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સામે આરોપ લગાવ્યો હતો કે તે જિયા ખાન સાથે છેલ્લા એક વરસથી લિવ ઇનમાં રહેતો હતો. બાદમાં જિયાના ઘરેથી મળેલી સુસાઇડ નોટના આધારે સૂરજની ધરપકડ કરવામાં આવી હતી.
સૂરજની ધરપકડ બાદ ઝરીના વહાબ રાબિયા ખાનને મળવા ગયા હતાં. આ અંગે ઝરીનાએ જણાવ્યું - હું રાબિયા સાથે તે રીતે મળવા ગઈ હતી કે જેમ એક માતા બીજી માતાને મળવા જાય છે. હું તેમને એકલામાં મળવા માંગતી હતી, પણ કદાચ તેઓ મારી સાથે વાત કરવા નહોતા માંગતાં. ઝરીનાએ ઘટના અંગે અફસોસ જાહેર કરતાં જણાવ્યું - જો મારો પુત્ર ગુનેગાર છે, તો તેને જરૂર સજા થવી જોઇએ. તેમણે એ બાબતનો ઇનકાર કર્યો કે તેઓ પોતાના પુત્રને બચાવવા માટે રાબિયા સાથે સમજૂતી કરવા ગયા હતાં.