જિયા મરી નહીં, મારી દેવામાં આવી, સીબીઆઈ તપાસ કરાવો : રાબિયા
મુંબઈ, 4 ઑક્ટોબર : આજે પૂરા ત્રણ માસ બાદ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં નવો વળાંક આવી ગયો છે. જિયાના માતા રાબિયા અમીને એવા 10 સબૂતોના આધારે જણાવ્યું કે તેમની પુત્રી જિયાનું મોત આત્મહત્યા નહીં, પણ હત્યા હતી. જિયાના વકીલે રાબિયાના સબૂતો કોર્ટમાં રજૂ કર્યાં છે.
પોલીસ પહેલા જ દિવસથી જિયા ખાનના મોતને આપઘાત કહે છે. જે સમાચાર મળે છે, તે મુજબ જિયાના શબની અનેક તસવીરો મળી છે કે જેમાં તેની બૉડી ઉપર ઘણા બધા ઈજાના નિશાન છે. તેથી મુંબઈ હાઈકોર્ટ સમક્ષ રાબિયાએ રાવ નાંખી છે કે જિયા ખાન આત્મહત્યા કેસની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. જો આ વાતો સાચી હોય, તો જિયા ખાનની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે પ્રશ્નચિહ્ન ઊભો થઈ જાય કે જેમાં કહેવાયું છે કે જિયાનું મોત શ્વાસ રુંધાતા થયું છે અને તેમની બૉડી પર કોઈ પણ જાતની ઈજાના નિશાન નહોતાં.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન 3જી જૂન, 2013ના રોજ રાત્રે પોતાના ઘરે ગળેફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યા હતાં. જિયાના મોતને પ્રાથમિક દૃષ્ટિએ આપઘાત ઠેરવવામાં આવી, તો બીજી બાજુ આ કેસમાં જિયાના પ્રેમી સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી. કહે છે કે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીના પુત્રના માતા બનવાના હતા જિયા ખાન અને સૂરજે પરાણે જિયાનું ગર્ભપાત કરાવ્યુ હતું. તે પછી જિયા ખાન ડિપ્રેશનમાં હતાં. સૂરજ પંચોલી હાલ જામીન પર છે.