કંગનાની ‘મણિકર્ણિકા'થી નારાજ થઈ કરણી સેના, આપી તોડફોડની ધમકી
કંગના રનોતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે. હિંદુવાદી સંગઠન કરણી સેનાએ ફિલ્મની રિલીઝનો વિરોધ કર્યો છે.
કંગના રનોતની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે રિલીઝ પહેલા જ ફિલ્મનો વિવાદ પણ સામે આવ્યો છે. જાણકારી મુજબ હિંદુવાદી સંગઠન કરણી સેનાએ ફિલ્મની રિલીઝનો વિરોધ કર્યો છે. તેમની નારાજગી એ વાતથી છે કે તેમને લાગે છે કે ફિલ્મમાં લક્ષ્મીબાઈના એક બ્રિટિશ ઓફિસર સાથે રિલેશન બતાવવામાં આવ્યા છે. તેના પર તેમણે વાંધો વ્યક્ત કર્યો છે. એટલુ જ નહિ તેમનો દાવો છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને એક ગીત પર ડાંસ કરતા બતાવવામાં આવી છે જે સભ્યતાના વિરોધમાં છે.
કરણી સેનાના નિશાના પર આવી ફિલ્મ મણિકર્ણિકા
કરણી સેના એ જ સંગઠન છે જેણે લગભગ એક વર્ષ પહેલા સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ. તે સમયે પદ્માવતની રિલીઝ માટે પણ ઘણો વિવાદ થયો હતો. તેના પ્રદર્શનના કારણે રિલીઝ સમયે ફિલ્મ પદ્માવતને રાજ્યોમાં પ્રતિબંધિત કરી દીધી હતી. હવે લગભગ એક વર્ષ બાદ ફરીથી કંગના રનોતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' ના વિરોધમાં પણ કરણી સેનાએ અવાજ બુલંદ કર્યો છે.
શું બોલ્યા કરણી સેનાના સુખદેવ સિંહ શેખાવત
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ શેખાવતે ‘મિડ ડે' સાથે વાતચીતમાં કહ્યુ કે, ‘અમે વારંવાર જોયુ છે કે ફિલ્મ નિર્માતા કોઈ ઉદ્દેશ સાથે ફિલ્મમાં અમુક દ્રશ્યો બતાવવાની સ્વતંત્રતા લેવાની કોશિશ કરે છે. આવો બકવાસ સહન કરવામાં નહિ આવે.' તેમણે આગળ કહ્યુ કે ‘અમે આ વિશે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ અમે પદ્માવતને ઘણા રાજ્યોમાં રિલીઝ નહોતી થવા દીધી.'
પદ્માવત પર વિવાદ બાદ મણિકર્ણિકા પર સાધ્યુ નિશાન
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહે કહ્યુ, ‘કંગના રનોતની મણિકર્ણિકા પણ આવો જ અંજામ ભોગવશે. અમે ફિલ્મ નિર્માતાઓ સાથે વાત કરી રહ્યા છે કે અમને રિલીઝ પહેલા ફિલ્મ બતાવે. જો તે અમને બતાવ્યા વિના ફિલ્મ રિલીઝ કરશે તો અમે પ્રોપર્ટી (થિયેટર) માં તોડફોડ કરીશુ અને તેના માટે અમે જવાબદાર નહિ હોય.' સીબીએફસી (સેન્ટ્રલ બોર્ડઓફ ફિલ્મ સર્ટિફિકેશન) પહેલેથી જ ફિલ્મને મંજૂરી આપી ચૂક્યુ છે. આના પર સુખદેવ સિંહે કહ્યુ કે, ‘સીબીએફસી પાસેથી ક્લીયરન્સ મળ્યુ છે કે નહિ તેનો કોઈ મતલબ નથી.'
25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે મણિકર્ણિકા
જો કે પ્રોડક્શન હાઉસના પ્રવકતાએ ફિલ્મમાં આવા કોઈ પણ અફેરના સમાચારોને ફગાવી દીધા છે અને કહ્યુ કે, ‘ફિલ્મમાં આવી કોઈ બાબત બતાવવામાં આવી નથી. 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થયા બાદ એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. મણિકર્ણિકા ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈની તાકાત અને બહાદૂરીનું ચિત્રણ કરવામાં આવ્યુ છે કારણકે તેમણે પોતાની માતૃભૂમિ માટે લડાઈ લડી હતી. અમને આ ફિલ્મ રજૂ કરવા પર ગર્વ છે અને વિશ્વાસ છે કે તે દરેક વયના લોકોને પસંદ કરશે.'
આ પણ વાંચોઃ ભૂષણ કુમાર પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ ફરિયાદ પાછી લીધી