Me Too: આમિર ખાને યૌન શોષણના આરોપી ડાયરેક્ટરની ફિલ્મ છોડી
આમિર ખાને સુભાષ કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ ‘મોગુલ' છોડવાનો નિર્ણય કર્યો છે.
બોલિવુડમાં અભિનેત્રીઓએ Me Too અભિયાન હેઠળ પોતાની સાથે થયેલા યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે જેમાં ઘણી મોટી હસ્તીઓના વિકૃત ચહેરા સામે આવ્યા છે. આમાં ડાયરેક્ટર સુભાષ કપૂર પણ શામેલ છે. જેમના પર યૌન શોષણ અને છેડતીનો કેસ ચાલી રહ્યો છે. આમિર ખાને સુભાષ કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ 'મોગુલ' છોડવાનો નિર્ણય કર્યો છે. અભિનેત્રી ગિતિકા ત્યાગીએ આમિરની પત્ની કિરણ રાવને કરેલા ટ્વિટ બાદ તેમણે આ ફિલ્મથી અલગ થવાનો નિર્ણય લીધો.
‘Mogul' ફિલ્મથી અલગ થયા આમિર ખાન અને કિરણ રાવ
આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવ સાથે સુભાષ કપૂરની આવનારી ફિલ્મ ‘મોગુલ' ને પ્રોડ્યુસર કરી રહ્યા હતા. ટી સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારની જિંદગી પર આધારિત આ ફિલ્મમાં મુખ્ય લીડ ભૂમિકામાં આમિર ખાન જ હતા. આમિરે એક નિવેદન જારી કરીને પોતાના અને કિરણના ફિલ્મથી અલગ થવાનો નિર્ણય સંભળાવ્યો. નિવેદનમાં આમિરે કહ્યુ, ‘આમિર ખાન પ્રોડ્ક્શનમાં સેક્સ્યુએલ હેરેસમેન્ટ સામે ઝીરો ટોલરન્સ પોલિસી છે. અમે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને તેમાં ખોટા આરોપોની આકરી નિંદા કરીએ છીએ.'
આ પણ વાંચોઃ કૈલાશ ખેરે મારી જાંઘ પર હાથ રાખીને કહ્યુ તુ બહુ સુંદર છેઃ સોના મહાપાત્રા
નિવેદન જારી કરીને કહ્યુ, ‘જજમેન્ટ વિના થઈ રહ્યા છે અલગ'
આમિરે નિવેદનમાં કોઈનું નામ લીધા વિના કહ્યુ, ‘બે સપ્તાહ પહેલા જ્યારે #MeToo ની શરૂઆત થઈ, ત્યારે અમારા ધ્યાનમાં લાવવામાં આવ્યુ કે જેની સાથે અમે કામ કરી રહ્યા છે તેના પર યૌન શોષણનો આરોપ લાગેલો છે. અમે તપાસમાં જોયુ કે કેસ ન્યાયિક વિચાર હેઠળ છે અને આના પર કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે.' આમિરે કહ્યુ કે, ‘અમે કોઈ ઈન્વેસ્ટીગેટીંગ એજન્સી નથી અને કોઈના પર જજમેન્ટ પણ ન આપી શકીએ. તેના માટે પોલિસ અને ન્યાયાલય છે. એટલા માટે કોઈ જજમેન્ટ આપ્યા વિના અમે પોતાને આ ફિલ્મથી અલગ કરી રહ્યા છે.'
ડાયરેક્ટર સુભાષ કપૂર પર લાગ્યા યૌન શોષણના આરોપ
આમિરે કહ્યુ કે, ‘આ જ સમય છે જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી આત્મનીરિક્ષણ કરીને બદલાવ તરફ ઠોસ પગલાં લઈ શકે છે. મહિલાઓ લાંબા સમયથી યૌન શોષણનો શિકાર થઈ રહી છે. તેને રોકવો પડશે.' તમને જણાવી દઈએ કે આમિર ખાન ટી સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારના જીવન પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. જેનુ નિર્દેશન સુભાષ કપૂરના હાથોમાં હતુ. આ ફિલ્મને ટી સીરિઝ ઉપરાંત આમિર ખાન અને કિરણ રાવ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. સુભાષ કપૂર પર 2014 માં અભિનેત્રી ગિતિકા ત્યાગીએ યૌન શોષણ અને છેડતીનો કેસ દાખલ કરાવ્યો હતો.
પીડિતા ત્યાગીએ કર્યુ હતુ કિરણ રાવને ટ્વિટ
હાલમાં જ દેશમાં #MeToo એ જોર પકડ્યા બાદ અભિનેત્રી ગિતિકા ત્યાગીએ સુભાષ કપૂર અંગે ટ્વિટ કર્યુ હતુ. ગિતિકાએ લખ્યુ હતુ, ‘જો કે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલે પોતાને #MeToo કેમ્પેઈનમાં આવેલા નામોથી અલગ કરી લીધુ હતુ પરંતુ હું આશા રાખુ છુ કે આની અધ્યક્ષ કિરણ રાવને યાદ છે કે તેમના પતિ આમિર ખાન સુભાષ કપૂરની સાથે કામ કરી રહ્યા છે જેના પર યૌન શોષણ અને છેડતીનો આરોપ લાગ્યો છે.' સમગ્ર વિવાદ બાદ ડાયરેક્ટર સુભાષ કપૂરે પણ પોતાનું નિવેદન જારી કર્યુ છે.
નિવેદન જારી કરી સુભાષ કપૂરે આપી પોતાની સફાઈ
સુભાષ કપૂરે પોતાના નિવ્દનમાં કહ્યુ, ‘હું આમિર ખાન અને કિરણ રાવના નિર્ણયને સમજુ છુ અને તેમની ઈજ્જત કરુ છુ. કારણકે કેસ કોર્ટમાં છે. હું મારી નિર્દોષતા સાબિત કરવા ઈચ્છીશ. પરંતુ હું એક સવાલ પૂછવા ઈચ્છુ છુ, શું એક રોતી મહિલાને તેની પરવાનગી વિના રેકોર્ડ કરવા અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવુ હેરેસમેન્ટ નથી? કે પછી એ યોગ્ય છે કે તે કોઈ એવા વ્યક્તિ સાથે સંબંધિત છે જેના પર કથિત રીતે ખોટા આચરણનો આરોપ લાગ્યો છે. જો તમારો જવાબ બીજો છે, તો પછી મારા માટે આ ખાપ પંચાયતના વિચારોથી વધુ કંઈ નથી.'
બોલિવુડની ઘણી મોટી હસ્તીઓ પર યૌન શોષણનો આરોપ
ગયા સપ્તાહમાં #MeToo એ દેશમાં જોર પકડ્યુ છે. નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવીને તનુશ્રી દત્તાએ દેશમાં ફરીથી #MeToo ની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઘણી મહિલાઓને તેના પર બોલવાની હિંમત મળી. ત્યારબાદ જોવા મળ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજકારણમાં ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષોએ મહિલાઓનું યૌન શોષણ કર્યુ છે. બોલિવુડમાં ‘સંસ્કારી' નામથી જાણીતા આલોક નાથ પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો છે. લેખક વિંતા નંદા અને અભિનેત્રી સંધ્યા મૃદુલે તેમના પર આ આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચોઃ રેપ આરોપો પર ભડક્યા આલોકનાથ, માનહાનિનો કેસ કરશે