આશિકી 2ની સફળતાનો શ્રેય પત્ની ઉદિતાને આપતાં મોહિત
મુંબઈ, 1 મે : બૉલીવુડ ફિલ્મકાર મોહિત સુરી કહે છે કે આશિકી 2 ફિલ્મમાં જે આદર્શ પ્રણય-કથાનું ચિત્રણ તેઓ કરી શક્યાં છે, તેની પ્રેરણા તેમના પત્ની ઉદિતા ગોસ્વામીએ આપી છે. તેથી જ ફિલ્મના સફળતાનો સમગ્ર શ્રેય તેમની ખૂબ જ પ્રેમ કરનાર પત્નીને ફાળે જાય છે. ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ આશિકી 2એ પ્રથમ ત્રણ દિવસમાં જ 20 કરોડની કમાણી કરી છે.
મોહિત સુરીએ જણાવ્યું - લોકો કહે છે કે જે પ્રકારનો આદર્શ પ્રેમ મેં ફિલ્મમાં દર્શાવ્યો છે, તે આજે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. હું તેમને કહુ છું, મારા ઘરે આવી જુઓ, એવો જ પ્રેમ કરનાર કોઇક મારા જીવનમાં છે. ઉદિતા વગર શરતે મારો ખ્યાલ રાખે છે, મને પ્રેમ કરે છે. હું ફિલ્મનો સમગ્ર શ્રેય ઉદિતાને આપુ છું.
મોહિતે જણાવ્યું - વીતેલું વર્ષ તેમના માટે ખૂબ જ ખરાબ રહ્યું. લોકોને લાગતું હતું કે હું નવા કલાકારો સાથે ફિલ્મ નથી બનાવી શકતો. મારી ફિલ્મ જોવા દર્શકો થિયેટર નહીં જાય, પણ હું આ વખતે અડગ હતો કે મારી ફિલ્મના મુખ્ય પાત્રો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર જ રહેશે. ફિલ્મના સ્ક્રિપ્ટ લેખક શગૂફ્તા રફીક તેમજ મેં આદિત્ય-શ્રદ્ધાની પસંદગી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે મોહિત સુરીએ શ્રદ્ધા કપૂરને અગાઉ પણ પોતાની ફિલ્મની ઑફર કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. સુરી કહે છે - અમે આશિકી 2 ફિલ્મના મુખ્ય કલાકારો માટે નવા ચહેરા લેવાની યોજના બનાવી હતી, પરંતુ અનેક ઑડિયંસ લીધા બાદ પણ કોઈ રાસ ન આવ્યું. સુરી અગાઉ કલયુગ તથા મર્ડર 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.