પાક સિંગર અદનાનને તાત્કાલિક ભારત છોડવાની નોટિસ
મુંબઈ, 15 ઑક્ટોબર : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેની ચેતવણી બાદ પણ પાકિસ્તાની ગાયક અદનાન સામીએ અત્યાર સુધી ભારત નથી છોડ્યું. આ બાબતમાં નવું અપડેટ આવ્યું છે કે ગેરકાયદેસર ભારતમાં રહેતા અદનાન સામીને મુંબઈ પોલીસે નોટિસ પાઠવી કે તેઓ તાત્કાલિક દેશ છોડી ચાલ્યા જાય, પરંતુ જતા પહેલા તેમણે પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
જોકે શનિવારે મનસેએ અદનાન સામીને પોતાની ઑફિસ બોલાવી એક કલાક ક્લાસ લીધી હતી. પછી અદનાને ખાત્રી આપી હતી કે તેઓ પોતાના વિઝા અદ્યતન કરાવી લેશે, પણ અત્યાર સુધી અદનાનના વિઝાનું નવીનીકરણ નથી થયું. અદનાનના વિઝાની મુદ્દત 6ઠી ઑક્ટોબરે ખતમ થઈ ગઈ છે અને તેઓ ગેરકાયદેસર ભારતમાં રહે છે.
મનસે ફિલ્મ પ્રકોષ્ઠના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું કે અદનાનના વિઝાની નવીનીકરણ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અમને આશા છે કે અદનાન સામી ટુંકમાં જ ભારત છોડી દેશે અને વિઝા નવીનીકૃત થયા બાદ જ પરત ફરશે. અદનાનના વિઝાની કાયદેસરતા ખતમ થવા અંગેનો ખુલાસો તેમના પૂર્વ બીજા પત્ની સબા ગાલાદરી વિરુદ્ધ છુટેછાડા-સમ્પત્તિ સંબંધી કેસની ગત સુનાવણી વખતે થયો હતો.
નોંધનીય છે કે અદનાન સામીનો જન્મ 1969માં લંડન ખાતે થયો હતો. ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદૂત અરશદ સામી ખાન તેમના પિતા હતાં અને ભારતના નૌરીન ખાન તેમના માતા છે. અદનાને અદાલતને માહિતી આપી હતી કે તેમના વિઝાનું નવીનીકરણ ચાલી રહ્યું છે. અદનાને ચાર લગ્ન કર્યા છે, છતા તેઓ એકલા છે. અદનાન સામીને લોકો ભીગી-ભીગી રાતોં મે... મુઝકો ભી તો લિફ્ટ કરા દે... જેવા ગીતો માટે આજેય યાદ કરે છે.