આવતા વર્ષે શરૂ થશે મુન્નાભાઈ દિલ્હી ચલેનું શૂટિંગ
મુંબઈ, 4 માર્ચ : કેટલાંક પાત્રો એવાં હોય છે કે જે માણસના મનો-મસ્તિષ્ક ઉપર એવી રીતે વસી જાય છે કે લોકો વારંવાર તેમના અંગે જાણવા અને વાંચવા માંગે છે. એવા જ બૉલીવુડના પાત્રો છે મુન્નાભાઈ અને સર્કિટ. મુન્નાભાઈ સિરીઝની સિક્વલ જોવા લોકો આતુર હોય, તે સ્વાભાવિક છે અને તેમના માટે એક સારા સમાચાર એ છે કે હવે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના આરંભે શરૂ થવાની છે.
દિગ્દર્શક સુભાષ કપૂરે જણાવ્યું છે કે તેઓ વર્ષ 2014ના આરંભિક મહીનાઓમાં મુન્નાભાઈ ચલે દિલ્હી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ બાદ હવે મુન્નાભાઈ ચલે દિલ્હી ફિલ્મમાં પણ જૂની જોડી સંજય દત્ત અને અરશદ વારસી જ નજરે પડનાર છે. એક મહત્વના પાત્ર બોમન ઈરાની આ ફિલ્મનો પણ ભાગ હશે. જોકે ફિલ્મના અભિનેત્રી અંગે હજુ કંઈ ખુલાસો કરાયો નથી. મુન્નાભાઈ એમબીબીએસમાં ગ્રેસી સિંહ તથા લગે રહો મુન્નાભાઈમાં વિદ્યા બાલન હતાં.
ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપરા છે. તેમને પુરતો વિશ્વાસ છે કે સુભાષ કપૂર પુરતી પ્રામાણિકતા સાથે મુન્નાભાઈના પાત્ર સાથે ન્યાય કરશે. અગાઉની બંને ફિલ્મોનું દિગ્દર્શન રાજકુમાર હીરાણીએ કર્યુ હતું. જોઇએ છેલ્લી બંને ફિલ્મો દ્વારા લોકોને જાદુની ઝપ્પી અને ગાંધીગિરી શિખવાડ્યા બાદ આ વખતના મુન્નાભાઈ લોકોને કયો પાઠ ભણાવે છે. રાજકુમાર હીરાણી મુન્નાભાઈ ચલે દિલ્હીને પણ દિગ્દર્શિત કરવા ઇચ્છતા હતાં, પરંતુ હાલ તેઓ આમિર ખાન સાથે પીકે ફિલ્મમાં વ્યસ્ત છે. તેથી આ વખતે દિગ્દર્શનના સૂત્રો સુભાષ કપૂરને સોંપાયા છે કે જેઓ હાલ જૉલી એલએલબીના દિગ્દર્શનમાં વ્યસ્ત છે.