"મેં 20 વર્ષ પહેલાં જ સાચા મુસલમાન બનવાનું છોડી દીધું છે.."
નસીરૂદ્દીન શાહે પોતાના લેખમાં ભારતમાં મુસલમાનોની પરિસ્થિતિ અંગે ખુલીને વાત કરી છે.
બોલિવૂડના સ્ટાર્સ મોટેભાગે નેશનલ મુદ્દાઓ પર ટિપ્પણી આપવાથી બચતા હોય છે. કોઇ મોટા વિવાદમાં ફસાઇ જવાના ડરના કારણે બોલિવૂડ સિતારાઓ બને ત્યાં સુધી ચર્ચાસ્પદ નિવેદન આપવાનું ટાળે છે. જો કે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંથી એક નસીરૂદ્દીન શાહે હિંદુસ્તાન ટાઇમ્સમાં લખેલ એક લેખમાં ખુલીને પોતાની વાત મુકી છે.
નસીરૂદ્દીન શાહે પોતાના લેખમાં ભારતમાં મુસલમાનોની પરિસ્થિતિ અંગે ખુલીને વાત કરી છે. પોતાના ધર્મ, ધર્મ અંગેની તેમની માન્યતાઓ અને તેમની વિચારસરણીને તેમણે લોકો સમક્ષ રજૂ કરી છે. નસીરૂદ્દીન શાહે પોતાના લેખમાં લખ્યું છે, "મને યાદ નથી કે કઇ રીતે મુસલમાનોને લોકો સંદેહની નજરે જોવા લાગ્યા. નવજાત મુસ્લિમ બાળકના કાનમાં જે પહેલો અવાજ પડે છે, તે ક્યાં તો અઝાનનો હોય છે અને ક્યાં તો કલમાનો. મારા કાનમાં પડનાર પહેલો અવાજ કયો હતો મને યાદ નથી."
મારો પરિવાર કોઇ ધર્મ સાથે બંધાયેલો નથી
"હું હવે ઇસ્લામ ધર્મ ફોલો નથી કરતો. મારો પરિવાર કોઇ ધર્મ સાથે બંધાયેલો નથી. મારી પત્ની હિંદુ છે. જ્યારે અમારો પુત્ર થયો અને અમે તેને સ્કૂલમાં દાખલ કર્યો તો અમે ધર્મનું ખાનું ખાલી છોડવાનો નિર્ણય કર્યો. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપલ સાથે અમારે વિવાદ પણ થયો હતો, પરંતુ અમે એ ખાનું ખાલી જ રાખ્યું, કારણ કે ત્યારે અમને ખબર નહોતી કે અમારો પુત્ર મોટો થઇને શું બનશે."
અમારામાં પણ સ્વદેશી લોહી વહે છે
"દેશભક્તિ કોઇ ટોનિક નથી, જે કોઇ દબાણપૂર્વક પીવડાવી દેવામાં આવે. જેમ ઘણા મુસ્લિમો આઇએસઆઇએસની નિંદા કરવાનું ટાળે છે, એ જ રીતે ઘણા હિંદુઓ પણ ગૌરક્ષકો દ્વારા જો કોઇ મુસલમાનની હત્યા થાય તો એ ઘટનાની નિંદા કરવાનું ટાળે છે. ભગવા બ્રિગેડવાળાએ લોકોના મનમાં એ વાત બેસાડી દીધી છે કે, સેંકડો વર્ષો પહેલાં આક્રમણકારી મુસલમાન શાસકોએ લૂંટફાટ કરી દેશને નુકસાન પહોંચાડ્યું અને સાથે જ તેમણે ભારતીય મુસલમાનોને પણ સંદેહથી જોઇ તેમને સજા કરવાનું નક્કી કરી લીધું છે. અમે 'આક્રમણકારીઓના વંશજ' છીએ, પરંતુ અમારામાં પણ સ્વદેશી લોહી છે. અનેક પેઢીઓ પછી, આજે પણ અમારે અમારા પૂર્વજોએ કરેલ અપરાધો સુધારવાની મહેનત કરવી પડે છે."
ભારતીય મુસલમાનો પોતાને શોષિત અને પીડિત સમજવાનું બંધ કરે
"ભારતના જે મુસલમાનો પોતાને પીડિત અને શોષિત સમજે છે, તેમણે આ વિચારસરણીમાંથી બહાર નીકળી પોતાના અધિકારોને સમજવા જોઇએ. એવું કેમ થાય છે કે, બધું તમારી ફેવરમાં હોવા છતાં તમને લાગે છે જાણે લોકો તમને રંજાડી રહ્યાં છે. મુસલમાનોએ પોતાની અંદરની મુક્તિની ભાવનામાંથી બહાર નીકળી, પોતાના અધિકારોને સમજી પોતાની ભારતીયતા પર ગર્વ કરવો જોઇએ."