પ્રિયંકાએ એવું તો શું કર્યું કે, લખવો પડ્યો માફી પત્ર?
પ્રિયંકા ચોપરાએ ટોરેન્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવું કંઇક કર્યું કે, સિક્કિમવાસીઓનો રોષ ભડકી ઉઠ્યો. વિવાદ એટલો વધ્યો કે, પ્રિયંકાએ પત્ર લખી સિક્કિમ સરકારની માફી માંગવી પડી. આ અંગે વધુ વાંચો અહીં
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ફરી એકવાર ટ્રોલિંગનો શિકાર થઇ છે અને આ વખતે એમાં ભૂલ પ્રિયંકાની જ છે. ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બાદ પ્રિયંકા ઘણી ચર્ચામાં હતી અન હવે આને કારણે જ તે વિવાદમાં સપડાઇ છે. ટ્વીટર પર તો યૂઝર્સ પ્રિયંકા પર ઘણો રોષ વરસાવી રહ્યા છે અને એને કારણે આખરે પ્રિયંકાએ માફી પત્ર લખવાનો પણ વારો આવ્યો છે. શું છે આખો મામલો? જાણો અહીં...
ફિલ્મ 'પહુના'
ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'પહુના'નું સ્ક્રિનિંગ થયું હતું. આ ફિલ્મમાં બે નેપાળી બાળકોની વાર્તા કહેવામાં આવી છે, જેઓ તોફાનને કારણે ગુમ થઇ જાય છે. ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકાની આ ફિલ્મના ઘણા વખાણ થયા હતા અને તેણે આ અંગે ઇટી કેનેડામાં એક ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો.
ઇન્ટરવ્યુથી શરૂ થયો વિવાદ
આ ઇન્ટરવ્યુથી જ વિવાદ શરૂ થયો હતો. 'પહુના' અંગે વાત કરતાં પ્રિયંકાએ ઇન્ટરવ્યુમાં જે કહ્યું, એનો ભાવાનુવાદ કંઇક આ મુજબ છે. 'સિક્કિમ એ ભારતના નોર્થ-ઇસ્ટમાં આવેલું નાનકડું રાજ્ય છે, અહીં કોઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નથી કે ત્યાંના કોઇએ કોઇ ફિલ્મ બનાવી નથી. આ વિસ્તારમાંથી આવેલ આ પહેલી ફિલ્મ છે, કારણ કે આ રાજ્યને વિદ્રોહ અને મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો છે.'
ટ્વીટર પર ભડક્યા યુઝર્સ
પ્રિયંકાના ઉપરોક્ત નિવેદનો પર ખાસો વિવાદ થયો હતો. લોકોએ પ્રિયંકા પર આરોપ મુક્યો હતો, કે તેણે હકીકત તપાસ્યા વિના કોઇ રાજ્ય વિશે આટલું મોટું નિવેદન આપ્યું અને તે પણ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર. કેટલાકે એમ પણ કહ્યું કે, સિક્કિમ જેવું રાજ્ય જે ટૂરિઝમ પર નભે છે, તેને પ્રિયંકાના આ નિવેદનને કારણે ઘણું નુકસાન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં સિક્કિમ એવું ભારતીય રાજ્ય હતું, જ્યાં સૌથી ઓછો ક્રાઇમ રેટ નોંધાયો હતો.
પ્રિયંકાની માતાએ માંગી માફી
આ વિવાદ વધતાં પ્રિયંકાના માતા અને આ ફિલ્મના કો-પ્રોડ્યૂસર મધુ ચોપરાએ સિક્કિમના ટૂરિઝમ મિનિસ્ટરને ફોન કરી આ કોમેન્ટ બદલ માફી માંગી હતી. પરંતુ વાત આટલેથી અટકવાની નહોતી. પ્રિયંકાના નિવેદનને કારણે સિક્કિમવાસીઓ ખૂબ રોષે ભરાયા હતા.
પ્રિયંકાએ આપ્યું સ્પષ્ટીકરણ
આથી આખરે પ્રિયંકાએ પણ એક પત્ર લખી સિક્કિમવાસીઓ અને સિક્કિમ સરકારની માફી માંગતા પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. સિક્કિમ ક્રોનિકલ અનુસાર, પ્રિયંકાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'મારા મનમાં સિક્કિમ રાજ્ય અને તેના નિવાસીઓ પ્રત્યે ખૂબ પ્રેમ અને માન છે. ઇન્ટરવ્યુ દરમિયાન મેં કરેલ ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. મેં ઇન્ટરવ્યુમાં સિક્કિમ નહીં, પરંતુ આ ફિલ્મમાં વિદ્રોહમાંથી બચીને આવેલ રેફ્યુજી અંગે વાત કરી હતી.'
પ્રિયંકાનો પત્ર
'મને પૂરો ખ્યાલ છે કે, સિક્કિમમાં ઘણા રેફ્યુજીને શરણું મળી રહે છે અને મારી ફિલ્મમાં એ જ વાર્તા દર્શાવવામાં આવી છે. મને એ પણ ખ્યાલ છે કે, ઇન્ટરવ્યુમાં મેં આપેલ નિવેદન અસ્પષ્ટ હોવાથી તેનો કોઇ પણ અર્થ નીકળી શકે એમ હતો. મારે મારો હેતુ વધુ સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવાની જરૂર હતી. મારી કોઇની લાગણીને દુભાવવાની બિલકુલ ઇચ્છા નહોતી.'