આજે પણ લોકોના હૃદયમાં જીવે છે પંચમ દા...
મુંબઈ, 4 જાન્યુઆરી : આત્મીય સંગીતના જાદુગર આર. ડી. બર્મન આજે પણ લોકોના હૃદયમાં જીવે છે. આ કથન કોઈ સંગીતકાર કે ગાયકનું નહીં, પણ તેમનું છે કે જેઓ આર. ડી. બર્મનના ગીતોના દીવાના છે. આજે સંગીતકાર આર. ડી. બર્મન ઉર્ફે પંચમ દાની પુણ્યતિથિ છે.
પંચમ દાને યાદ કરતા દિલ્હીના શિવાની માથુરે વનઇન્ડિયાને જણાવ્યું કે આજે પણ તેમની કોઈ પણ પાર્ટી પંચમ દા દ્વારા સંગીતબદ્ધ કરાયેલ ગીતો વગર પૂરી નથી થતી. તેમની ધુનોમાં કમાલનો જાદુ છે. તેના કારણે આજે પણ લોકોના દિલોમાં તેઓ જીવે છે. શિવાનીએ જણાવ્યું કે તેમના સંગીતની અસરનો અનુમાન આપ આ જ વાતથી કરી શકો કે તેમના બનાવેલ ગીતો પર તેમની પાંચ વરસની પુત્રી પણ થિરકે છે. એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે પંચમ દા ઉપર માતા સરસ્વતીનું સાક્ષાત્ વરદાન હતું.
ગોરતલબ છે કે રાહુલ દેવ એટલે કે આર. ડી. બર્મનનો જન્મ 27મી જૂન, 1939ના રોજ થયો હતો. સંગીત તો તેમને પિતા એસ. ડી. બર્મન પાસેથી વારસામાં મળ્યુ હતું. પશ્ચિમી સંગીતને ભારતીય સંગીતમાં મિક્સ કરી રજુ કરનાર પંચમ દાએ એકથી ચડિયાતા એક ધુનો બનાવી છે. તેમાં ચુરા લિયા હૈ તુમને જો દિલ કો... થી લઈ 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મના ગીતોનો પણ સમાવેશ થાય છે.
આર. ડી. બર્મનના પત્ની અને પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે પણ વારંવાર કહેતા આવ્યાં છે કે સંગીતના કારણે જ તેમના અને આર. ડી. વચ્ચે પ્રેમ પાંગર્યો. 1994માં માત્ર 54 વરસની ઉંમરે આર. ડી. બર્મને ફાની દુનિયાને અલવિદા કહી, પરંતુ આજે પણ તેમના સંગીતમાં દરેક પળે તેમને અનુભવી શકાય છે. વનઇન્ડિયા પણ પંચમ દાને શ્રદ્ધાંજલિ અર્પે છે.