કાકાની રિયાસતને યૂએ પ્રમાણપત્ર, જન્મ જયંતીએ થશે રિલીઝ
મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ રિયાસતને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સીબીએફસી તરફથી યૂએ પ્રમાણપત્ર મળ્યું છે. અત્યાર સુધી અટકી પડેલી આ ફિલ્મ સુપર સ્ટારની 71મી જન્મ જયંતીએ એટલે કે 29મી ડિસેમ્બરે રિલીઝ થવાની શક્યતા છે.
રાજેશ ખન્નાની આ ફિલ્મ વર્ષ 2012માં રાજેશના જન્મ દિવસે જ રિલીઝ થવાની શક્યતા હતી પરંતુ પછી તેની રિલીઝ ડેટ તેમની પુણ્યતિથિ 18મી જુલાઈ સુધી ટાળી દેવામાં આવી. જોકે ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજી કંઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ ફિલ્મના દિગ્દર્શક અશોક ત્યાગી કહે છે કે હવે સૌની નજરો રિયાસત ફિલ્મ ઉપર છે.
ત્યાગીએ જણાવ્યું - રાજેશ ખન્ના જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી તેમની પુણ્યતિથિએ ફિલ્મ રિલીઝ કરવી યોગ્ય નહોતું. ફિલ્મ હવે યૂએ પ્રમાણપત્ર સાથે રિલીઝ થવા તૈયાર છે. રિયાસત ફિલ્મમાં ગૌરી કુલકર્ણી, આર્યન વૈદ્ય, આર્યમન રામસે તથા રઝા મુરાદ પણ છે. ત્યાગીને લાગે છે કે રાજેશ ખન્નાના 71મા જન્મ દિવસથી બે દિવસ પૂર્વે ફિલ્મને રિલીઝ કરવું યોગ્ય ગણાશે. રાજેશ ખન્નાનો 71મો જન્મ દિવસ 29મી ડિસેમ્બરે છે.
નોંધનીય છે કે પ્રથમ બૉલીવુડ સુપર સ્ટાર રાજેશ ખન્નાનું ગત 18મી જુલાઈ, 2012ના રોજ નિધન થઈ ગયુ હતું. તેમણે પોતાના કૅરિયરમાં આરાધના, કટી પતંગ, આનંદ, અમર પ્રેમ, દો રાસ્તે, આન મિલો સજના તેમજ અન્ય અનેક સફળ ફિલ્મો આપી હતી.