હવે તો ભગવાને પણ કહી દીધું કે છોડી દો સિગરેટ
મુંબઈ, 15 ડિસેમ્બર : આપ ચોંકી ગયા હશો કે અમે કોની વાત કરી છીએ. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ તામિળ સુપર સ્ટાર રજનીકાંતની કે જેમને લોકો ભગવાનની જેમ પૂજે છે. તેમણે પોતાના ફૅન્સને અનુરોધ કર્યો છે કે પ્લીઝ, કેમેય કરીને સિગેરટની કુટેવ છોડી દો. આ આદત ખરાબ છે અને તેમની માંદગીનું કારણ સિગરેટ જ છે. સિગરેટના કારણે જ તેઓ બીમાર પડ્યા હતાં. રજનીકાંતે પોતે સ્વીકાર્યું કે તેઓ ચાહીને પણ સિગરેટ ન છોડી શક્યાં. જેથી તેમને શારીરિક કષ્ટ ભોગવવો પડ્યો છે. રજનીકાંતે આ વાત પોતાના જન્મ દિવસે એટલે કે 12-12-12ના રોજ જણાવી હતી.
આપને યાદ હશે કે સુપર સ્ટાર રજનીકાંતની સિગરેટ પીવાની એક અલગ જ સ્ટાઇલ છે કે જેને જોવા લોકો એક વાર નહીં, દસ-દસ વાર તેમની ફિલ્મો જુએ છે. જે ફિલ્મમાં તેમનું સિગરેટ સીન નથી હોતું, લોકો તે ફિલ્મના નિર્માતાને ખરાબ રીતે ભાંડે છે. તેથી કોઈ પણ નિર્માતા એવી ભૂલ નથી કરતો.
નોંધનીય છે કે ગત વર્ષે રજનીકાંતની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. તેમની કિડની અને લીવરમાં ખૂબ મુશ્કેલી ઊભી થઈ હતી. હાલત કથળતી જતી હતી અને તેઓ સારવાર માટે સિંગાપોર ગયાં. ત્યાંથી તેઓ સલામત રીતે પરત ફર્યાં.
જોકે રજનીકાંતની દરેક વાતને લોકો પત્થરની લકીર માને છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કેટલાં લોકો રજનીકાંતની વાત માની સિગરેટ છોડે છે. જો એવુ થાય, તો હકીકતમાં આ એક મોટા સમાચાર બનશે.