દીપેશ ભાન અને રસિક દવે બાદ વધુ એક દુઃખદ સમાચાર, અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનુ નિધન
ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી છેલ્લા 15 દિવસમાં ત્રીજા દુઃખદ સમાચાર આવ્યા છે.
લખનઉઃ ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી છેલ્લા 15 દિવસમાં ત્રીજા દુઃખદ સમાચાર આવ્યા છે. રિતિક રોશન સાથે ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં કમ્પ્યુટર શિક્ષકની ભૂમિકા ભજવનાર અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનુ નિધન થયું છે. મિથિલેશ ચતુર્વેદીના પારિવારિક સૂત્રોએ જણાવ્યુ હતુ કે તેઓ હૃદયની બિમારીથી પીડાતા હતા અને બુધવારે સાંજે લખનઉમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મિથિલેશ ચતુર્વેદીના મૃત્યુની માહિતી તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ તેમના ફેસબુક પેજ પર શેર કરી છે.
જમાઈ આશિષ ચતુર્વેદીએ શેર કરી પોસ્ટ
મિથિલેશ ચતુર્વેદીના જમાઈ આશિષ ચતુર્વેદીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ, 'તમે વિશ્વના શ્રેષ્ઠ પિતા હતા, તમે મને જમાઈ નહીં પણ પુત્ર જેવો પ્રેમ આપ્યો, તમારી આત્માને શાંતિ મળે.' આશિષ ચતુર્વેદીએ પોતાની ફેસબુક પોસ્ટમાં મિથિલેશ ચતુર્વેદીની ચાર તસવીરોનુ કોલાજ પણ શેર કર્યુ છે.
લખનઉમાં લીધા અંતિમ શ્વાસ
મિથિલેશ ચતુર્વેદીના પારિવારિક સૂત્રોએ જણાવ્યુ હતુ કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તેમના વતન લખનઉની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડૉકટરો અને પરિવારના પ્રયત્નો સફળ થયા ન હતા અને મિથિલેશ ચતુર્વેદીનુ બુધવારે સાંજે લખનઉમાં મૃત્યુ થયુ હતુ. મિથિલેશ ચતુર્વેદી છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા.
15 દિવસમાં ત્રીજા દુઃખદ સમાચાર
ઉલ્લેખનીય છે કે અગાઉ 22 જુલાઈએ 'ભાભીજી ઘર પર હૈ'માં મલખાનનુ પાત્ર ભજવનાર અભિનેતા દિપેશ ભાન અને સીરિયલ 'મહાભારત'માં નંદની ભૂમિકા ભજવનાર અભિનેતા રસિક દવેનુ 29 જુલાઈએ નિધન થયુ હતુ. દિપેશ ભાન પોતાની સોસાયટીમાં ક્રિકેટ રમતા હતા ત્યારે તેમને બ્રેઈન હેમરેજ થયુ હતુ. આ પછી તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચૂક્યુ હતુ. વળી, રસિક દવેને કિડનીની સમસ્યા હતી જેના કારણે તેમનુ મૃત્યુ થયુ હતુ.