તુનિષા શર્માના ડિપ્રેશનની વાત સાચી છે કે ખોટી, પોલીસે કહ્યુ - નહોતી લેતી કોઈ ડિપ્રેશનની દવા
તુનિષા શર્મા વિશે એવા સમાચાર હતા કે એ ડિપ્રેશનની દવાઓ લેતી હતી પરંતુ પોલીસે જણાવ્યુ કે તે કોઈ દવા નહોતી લેતી.
Tunisha Sharma Depression: ટીવી અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુ બાદ એ વાત સામે આવી હતી કે અભિનેત્રી શીજાન મોહમ્મદ ખાન સાથેના બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં હતી. હવે મુંબઈ પોલીસે કહ્યુ કે તુનિષા શર્મા ડિપ્રેશનની કોઈ દવા નહોતી લેતી. તુનિષાએ તેના એક ઇન્ટરવ્યુમાં ડિપ્રેશન સાથેની તેની લડાઈ વિશે ખુલીને વાત કરી હતી. બ્રેકઅપ બાદ તુનિષા શર્મા વિશે એવા સમાચાર આવ્યા હતા કે તે ડિપ્રેશનમાં હતી અને તેના માટે તે દવા લઈ રહી હતી પરંતુ હવે મુંબઈ પોલીસના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તુનિષા શર્મા ડિપ્રેશનની કોઈ દવા નહોતી લઈ રહી.
બંનેના પરિવારોને બ્રેકઅપ વિશે ખબર હતી
'અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ'માં તુનિષા શર્માની સામે મુખ્ય અભિનેતા તરીકે કામ કરનાર શીજાન ખાન (28)ની રવિવારે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તુનીષાની માતા વનિતાએ તેની પુત્રીના મૃત્યુ માટે શીજાનને જવાબદાર ગણાવ્યો હતો. વનિતાએ દાવો કર્યો હતો કે તેની પુત્રી અને શીજાન ખાન ત્રણ મહિનાથી વધુ સમયથી સંબંધમાં હતા પરંતુ બે અઠવાડિયા પહેલા જ્યારે તેને ખબર પડી કે શીજાન ખાન તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે ત્યારે તેમનુ બ્રેકઅપ થઈ ગયુ. વનિતાએ પોલીસને જણાવ્યુ હતુ કે તુનીષા સંબંધોને લઈને ગંભીર હતી કારણ કે ખાને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હતુ. પોલીસે જણાવ્યુ કે બંનેના પરિવારજનોને તેમના સંબંધો અને તેમના બ્રેકઅપની જાણ હતી.
પોલીસે કહ્યુ - બધાના નિવેદન લેવામાં આવ્યા છે
પોલીસે જણાવ્યુ કે કર્મચારીઓ અને કો-એક્ટર્સ સહિત નવ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. તેણે તેમને કહ્યુ કે 24 ડિસેમ્બરે તુનિષા હંમેશની જેમ તેના શૂટિંગ માટે ગઈ હતી. બપોરે 3 વાગે તુનિષા શીજાન ખાનના રૂમના વૉશરૂમમાં ગઈ અને લગભગ એક કલાક પછી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. પોલીસે જણાવ્યુ કે જેજે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં 'ગળુ દબાવીને મોત' થયુ હોવાનુ જણાવવામાં આવ્યુ છે.
આજે થશે તુનિષાના અંતિમ સંસ્કાર
તુનિષા શર્માના અંતિમ સંસ્કાર આજે થવાના છે. આ દરમિયાન ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ ગુપ્તાએ એક વીડિયો સંદેશમાં 'આત્મહત્યા'ની વિશેષ તપાસ ટીમ (SIT) તપાસની માંગ કરી હતી. વસઈ પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે શીજાન ખાને તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તુનિષા શર્મા સાથે તેના સંબંધો ત્રણ મહિના સુધી ચાલ્યા કારણ કે તેમના સંબંધો વર્ક નહોતા કરતા. ઉંમરના અંતરને કારણે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.
શ્રદ્ધા વૉકરના કારણે થયુ હતુ તુનિષા-શીજાનનુ બ્રેકઅપ?
પોલીસ અધિકારીએ કહ્યુ કે, શ્રદ્ધા વૉકર મર્ડર કેસના કારણે શીજાન ખાન અને તુનિષા શર્માનુ બ્રેકઅપ થયુ હોવાનું અત્યાર સુધી કશુ જ કહેવામાં આવ્યુ નથી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસે 16 લોકોના નિવેદન નોંધ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા ગિરીશ મહાજને આક્ષેપ કર્યો હતો કે તુનીષા શર્માનુ મૃત્યુ લવ જેહાદનો કેસ છે અને રાજ્ય આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદો લાવવાની યોજના બનાવી રહ્યું છે. ગિરીશ મહાજન પર વળતો પ્રહાર કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ નાગપુરમાં કહ્યુ કે ભાજપ આ મામલાને 'લવ જેહાદ' એંગલ આપી રહી છે કારણ કે તે લોકોનુ ધ્યાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી હટાવવા માંગે છે. બીજી તરફ શીજાન ખાનના પરિવારજનોએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે.