Tunisha Suicide Case: શીજાન ખાનની જામીન અરજી સ્થગિત, હવે 9 જાન્યુઆરીએ થશે આવતી સુનાવણી
શીજાન તરફથી વસઈ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને શનિવારે કોર્ટે સ્થગિત કરી દીધી.
Tunisha Suicide Case: ટીવીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીની માના આરોપો બાદ અભિનેતા અને બૉયફ્રેન્ડ શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. શીજાન તરફથી વસઈ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને શનિવારે કોર્ટે સ્થગિત કરી દીધી. હવે આ કેસમાં આગલી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.
અભિનેત્રીની માએ શીજાન ખાન પર તુનિષાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીના કાકાએ પણ શીજાન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. અભિનેત્રીના કાકાએ દાવો કર્યો હતો કે શીજાન સાથેના સંપર્કને કારણે ઇસ્લામ માનવા લાગી હતી. તેણે તુનિષાને પ્રેમના નામે છેતરી કારણકે શીજાનનુ અન્ય યુવતીઓ સાથે પણ અફેર હતુ.
તુનિષાના પરિવારજનોએ પણ લવ-જેહાદ એંગલથી આ મામલાની તપાસની માંગ કરી છે. જોકે લવ-જેહાદને લઈને હજુ સુધી પોલીસનુ નિવેદન સ્પષ્ટ રીતે સામે આવ્યુ નથી. બીજી તરફ શીજાનની બહેને તુનીષાના પરિવારના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. શીજાનની બહેને મીડિયા સાથે વાત કરતા ઘણા દાવા કર્યા હતા. બહેને કહ્યુ હતુ કે પરિવારને બદનામ કરવા માટે મીડિયામાં નરેટીવ સ્ટોરી ઘડવામાં આવી રહી છે. વળી, બહેને આ મામલે ધર્મનો એંગલ ઉમેરવા માટે પણ પ્રહારો કર્યા છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા પહેલા તુનિષાએ કો-સ્ટાર શીજાન સાથે લંચ પણ કર્યુ હતુ. આ દરમિયાન શોના અન્ય સભ્યો પણ હાજર હતા. લંચ પછી અભિનેત્રીએ સેટ પર જ ગળે ફાંસો ખાઈ લીધો. જોકે, આ અંગે અન્ય સભ્યોને જાણ થતાં તેઓ તેને ફંદામાંથી બહાર કાઢી હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ દેશમાં ફરી એકવાર લવ-જેહાદનો મામલો ઉભો થવા લાગ્યો છે.