Twitter War: રવીનાએ કહ્યું, મને હિંદુ હોવાનો ગર્વ છે!
રામાયણ અંગેની એક પોસ્ટ રવીના ટંડને ટ્વીટર પર પોસ્ટ કરતાં વિવાદ સર્જાયો છે. તેને ટ્વીટર પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
આજકાલ બોલિવૂડ એક્ટર્સ ટ્વીટર પર ખૂબ ટ્રોલ થઇ રહ્યાં છે, ક્યારેક ધર્મના નામે તો ક્યારેક કોઇ બીજા કારણોસર. સોનુ નિગમ, પરેશ રાવલ, અભિજીત અને હવે વારો આવ્યો છે રવીના ટંડનનો. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર હાલ રવીના ટંડન ખૂબ ટ્રોલ થઇ રહી છે.
અહીં વાંચો - મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં સિંગર અભિજીતનું ટ્વીટર એકાઉન્ટ થયું સસ્પેન્ડ
રામાયણ માત્ર પૌરાણિક કથા નથી
રવીના ટંડને બે દિવસ પહેલાં રામાયણ અંગે એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં તેણે લખ્યું હતું, કઇ રીતે મુગલો, બ્રિટશરો અને અન્ય શાસકોએ આપણા ઇતિહાસ સાથે છેડછાડ કરી, આપણને એવું માનવા મજબૂર કરી દીધા કે રામાયણ માત્ર એક પૌરાણિક કથા છે.
|
સોશિયલ મીડિયા પર હોબાળો
પોતાના આ ટ્વીટ સાથે જ રવીનાએ સોશિયલ મીડિયા પર એક લેખની લિંક પણ શેર કરી હતી, જે રામાયણ અંગે હતો. તેની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર જાણે યુદ્ધ શરૂ થયું છે. કોઇ તેને સપોર્ટ કરી રહ્યું છે, કોઇ મજાક ઉડાવી તેની સરખામણી પરેશ રાવલ સાથે કરી રહ્યું છે.
ગાંધીએ ગોડસેને માર્યા..
વિવાદ ત્યારે વધ્યો જ્યારે રવીનાના રામાયણના ટ્વીટ પર પ્રેરણા બક્ષીએ કહ્યું, રામાયણ પૌરાણિક કથા નથી, ગાંધીએ ગોડસેને માર્યા છે, ચેક ગ્વેરાએ સાવરકર પાસે ટ્યૂશન લીધું છે અને બોલિવૂડ એક્ટર પાસે કરોડરજ્જૂ કે સેમિ-વર્કિંગ બ્રેઇન હોય છે.
રવીના ટંડનનો જવાબ
આવા અનેક રિસ્પોન્સ સામે રવીનાએ પણ ટ્વીટર પર જ સણસણતો જવાબ પકડાવ્યો હતો. તેણે લખ્યું હતું, હું હિંદુ છું અને રામાયણ-ગીતામાં આસ્થા રાખું છું. તમે ઇચ્છો છો કે આ માટે હું શરમ અનુભવું? આ માયથોલોજી જ મને બીજાનું સન્માન કરતાં શીખવે છે. તમે તમારા મૂળને ભૂલી ગયા હશો, પરંતુ હું નથી ભૂલી. મને ગર્વ છે કે હું ભારતીય છું. હું રામાયણ પર વિશ્વાસ કરું છું એનાથી શું તમને મારું અપમાન કરવાનો હક મળી જાય છે?