‘રેપ માટે નાના કપડાં નહીં, હવસખોર માનસિકતા જવાબદાર’
મુંબઈ, 31 ડિસેમ્બર : દિલ્હી ગૅંગ રેપના પગલે એક હોંશિયાર અને નિર્દોષ મેડિકલ વિદ્યાર્થિનીએ રિબાઈ-રિબાઈને મરવા મજબૂર થવુ પડ્યું. પીડિતાની મોતથી સમગ્ર દેશ આઘાતમાં અને ગુસ્સાથી ભરાયો છે, ત્યારે બૉલીવુડની હસ્તીઓની આંખોમાં આ બનાવ બાદ વગર ગ્લિસરીને અશ્રુ વહી રહ્યાં છે. બૉલીવુડની દિગ્ગજ હસ્તીઓએ સરકાર પાસે માંગણી કરી છે કે પીડિતાના મોત માટે જવાબદાર લોકોને ફાંસીએ લટકાવવામાં આવે. તે લોકો માટે બીજો કોઈ વિકલ્પ ન હોવો જોઇએ.
આપને જણાવી દઇએ કે બૉલીવુડના બાદશાહ ખાને ટ્વિટર પર લખ્યું છે કે પીડિતાના મોત બાદ મને પોતાના પુરુષ હોવા પણ શરમ અનુભવાઈ રહી છે. આ બનાવે મને અંતરથી હચમચાવી મુક્યુ છુ. હું પણ એક પુત્રીનો પિતા છું. તેથી હું સમજી શકુ છું કે પીડિતાના પિતા ઉપર હાલ શું વીતતું હશે? શાહરુખે આગળ લખ્યું છે કે મહિલાઓ સાથે બળાત્કારો થાય છે, કારણે કે નરાધમ પરુષ તેમની સાથે રેપ કરે છે. તેનું કારણ મહિલાઓનું ઓછા કપડા પહેરવું નથી. મને શરમ આવે છે તેવા લોકો ઉપર કે જેઓ સતત કહી રહ્યાં છે કે છોકરીઓના નાના કપડાંના કારણે રેપ થાય છે.
બીજી બાજુ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું છે કે આ શરમજનક અને ઘૃણાસ્પદ કૃત્ય આચરનાર ગુનેગારોને વહેલામાં વહેલી તકે અને કઠોરમાં કઠોર સજા મળવી જોઇએ અને પીડિતાના મોત સાથે ન્યાય થવો જોઇએ. એટલું જ નહીં પીડિતાના મોતથી આઘાત બૉલીવુડ દબંગ એટલે કે સલમાન ખાન પણ આઘાત પામ્યાં છે. તેમણે પણ આ દર્દનાક બનાવની સખત ટીકા કરી છે અને જણાવ્યું છે કે પીડિત છોકરીના આત્માને ત્યારે જ શાંતિ મળશે કે જ્યારે તેના ગુનેગારોને સજા-એ-મોત મળશે. કેટલાંક નરાધમોના કારણે આજે એક નિર્દોષ છોકરીએ રિબાઈ-રિબાઈને મોતનો શિકાર થવું પડ્યું. ભગવાન તેના આત્માને શાંતિ અને તેના પરિજનોને આ આઘાત સામે સંઘર્ષ કરવાની શક્તિ અર્પે.
નોંધનીય છે કે 16મી ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે દિલ્હીના વસંત વિહારની ચાલુ બસે એક મેડિકલ વિદ્યાર્થિની સાથે 6 લોકોએ ગૅંગ રેપ કર્યો હતો. પોતાની હવસ બુઝાવ્યા બાદ આ તમામ નરાધમોએ તે યુવતીને ચાલુ બસમાંથી બહાર ફેંકી દીધી હતી. તે છોકરીની સારવાર દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલે કરવામાં આવી રહી હતી. તબીયત કથળતા તેને સિંગાપોર લઈ જવામાં આવી, પરંતુ તેને બચાવી ન શકાઈ. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચાલી રહી છે. તમામ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.