નાસિર હુસૈનને શ્રદ્ધાંજલિ છે યે જવાની હૈ દીવાની
મુંબઈ, 20 ફેબ્રુઆરી : કહે છે કે કલાકારને જો શ્રદ્ધાંજલિ અર્પવી હોય, તો તેને કલા વડે જ આપી શકાય છે. તેથી જ આર્યન મુખર્જીએ ફિલ્મમેકર નાસિર હુસૈનને પોતાની ફિલ્મ યે જવાની હૈ દીવાની દિગ્દર્શિત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનું વિચાર્યું છે. તેથી જ ફિલ્મમેકર કરણ જૌહર આ ફિલ્મના નિર્માતા પણ છે. નાસિર હુસૈને દિલ દેકર દેખો જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. કહે છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મની વાર્તા પણ તે ફિલ્મથી જ પ્રેરિત છે.
નોંધનીય છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં લીડ રોલ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે કરી રહ્યાં છે, પરંતુ આ બંને ઉપરાંત પણ ફિલ્મમાં બે મહત્વના કલાકારો છે. તે છે આદિત્ય રૉય કપૂર અને કલ્કી કોચલીન. તેમના કૅરેક્ટર અંગે હજુ સસ્પેંસ જાળવી રખાયું છે. ફિલ્મના પ્રમોશનમાં રણબીર-દીપિકાના જૂના લવ-અફૅરને પૂર્ણત્વે વટાવવાનો પ્રયત્ન કરાયો છે.
તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે કે જેમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે ફિલ્મ લવને સેલિબ્રેટ કરે છે. ફર્સ્ટ લુકે જોઈ લાગે છે કે આ એક મસ્તીભરી પ્રણય-કથા છે. આર્યન મુખર્જીએ અગાઉ પણ રણબીર કપૂરને વેકઅપસિડમાં દિગ્દર્શિત કર્યા છે, જ્યારે દીપિકા પ્રથમ વાર આર્યન સાથે કામ કરે છે. ફિલ્મ 31મી મેના રોજ રિલીઝ થવાની છે.