હાઇ વોલ્ટેજ ડ્રામા પછી લાલજીની ધરપકડ, જામીન નહીં માંગે લાલજી
બુધવારે મોડી રાત્રે મહેસાણાની લાયંસ હોસ્પિટલમાં હાઇ વોલ્ટેજ ડ્રામા સાથે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલની ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા બગડી હતી અને પોલીસે કર્ફ્યુ લાદવો પડ્યો હતો. વળી આ આંદોલનમાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને સરકારી સંપત્તિને પણ નુક્શાન થયું હતું.
જેના આધારે જ લાલજી પટેલની આ ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ આંદોલનમાં લાલજી પટેલ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને આઇસીયુમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. જે કારણે તેમની ધરપકડ અટવાઇ હતી. જો કે તે બાદ આજે તે સ્વસ્થ જણાતા મંગળવારે ખુદ લાલજી પટેલે આત્મસમર્પણ કરવાની વાત કરી હતી. તેમ છતાં પોલીસે તેમને નજર કેદ જ રાખ્યા હતા. જે બાદ મોટી સંખ્યામાં પાટીદારો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દોડી આવતા અને લાલજીની પત્ની દ્વારા હાઇવોલ્ટેજ ડ્રામા કરતા છેવટે પોલીસે રાતના 11:15 તેમની અધિકૃત રીતે ધરપકડ કરી હતી...
લાલજી પટેલ
નોંધનીય છે કે જેલભરો આંદોલન દરમિયાન લાલજી પટેલને માથાના ભાગમાં 6 ટાંકા આવ્યા હતા. અને આજ કારણે તેમની તબિયત લથડતા તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. પણ હાલ તેમના ટાંકા તોડવામાં આવ્યા છે અને તે સ્વસ્થ છે.
હોસ્પિટલે આપી મંજૂરી
મહેસાણા લાયન્સ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ધરમસિંહ દેસાઇએ લાલજી પટેલનું મેડિકલ ચેકઅપ કર્યુ હતું.જેમાં તે સ્વસ્થ હોવાનું જણાતા લાલજી પટેલની મંજૂરીથી રજા આપવા સંબધે જિલ્લા પોલીસવડા,એલસીબી અને સીવીલ સર્જનને જાણ કરી હતી.
નજર કેદ
જોકે, સવારે 9 થી 12 દરમિયાન પોલીસની નજર કેદ હેઠળ રખાયેલા લાલજી પટેલને રૂમની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. જે મામલે મોડી રાતે લાલજી અને તેમના પત્નીએ હંગામો કર્યો હતો કે પોલિસ કેમ ધરપકડ નથી કરી રહી અને નજર કેદમાં રાખી રહી છે?
પાટીદારોના ટોળા
જો કે સાથે જ પાટીદારોના ટોળા હોસ્પિટલ ધસી આવતા અને વિવાદ વધતા પોલિસે મોડી રાતે લાલજી પટેલની ધરપકડ કરી હતી.
હું જામીન નહીં લઉં: લાલજી પટેલ
ધરપકડ થતાં લાલજી પટેલે પત્રકારો સાથે વાત કરતા લાલજી પટેલે જણાવ્યું હતુ કે તેઓની આટલી મોડી ધરપકડ કેમ કરવામાં આવી, તે સમજણ નથી પડતી. લાલાજી પટેલે એમ પણ ઉમેર્યું હતુ કે તેઓ આ અંગે જામીન માંગવાના નથી.