Audiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી
છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોની રંગત કંઇક અલગ જ જોવા મળી રહી છે.ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતે તો ગુજરાતીઓની ઓડી પ્રત્યેની અને ગુજરાતી ગીતો પ્રત્યેની પ્રિત વધારી દીધી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોની રંગત કંઇક અલગ જ જોવા મળી રહી છે. એક પછી એક ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો પણ આ ફિલ્મોને પૂરતો ન્યાય આપી રહ્યાં છે. લોકોના મોઢા પર માત્ર ગુજરાતી ગરબા કે ગઝલ નહીં, પરંતુ ગુજરાતી ગીતો ચડેલા જોવા મળે છે. 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતે તો ગુજરાતીઓની ઓડી પ્રત્યેની અને ગુજરાતી ગીતો પ્રત્યેની પ્રિત વધારી દીધી છે. અસલ ગુજરાતી લઢણમાં ગવાયેલું આ ગીત ખૂબ લોકપ્રિય થયું છે અને તેની ગાયિકા કિંજલ દવે આજે સ્ટાર બની ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે, આ મજેદાર ગીત લખ્યું કોણે છે?
'ચાર બંગડીવાળી ગાડી'ને બોલ આપ્યા છે...
'ચાર બંગડીવાળી ગાડી' ગીત સાંભળતાં જ નજર સમક્ષ કિંજલ દવે અને એક નાનકડા છોકરાનું ચિત્ર તરવરવા માંડે છે. થોડા જ સમયમાં આ ગીતે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી અને તેના અનેક વર્ઝન પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 17 વર્ષની કિંજલ દવેના આ ગીતની ખરી કમાલ એના બોલમાં છે, જેને કારણે આ ગીત લોકપ્રિય થયું છે. આ ગીત લખ્યું છે મનુ રબારીએ.
એવોર્ડ વિજેતા
મનુ રબારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સોંગ રાઇટર અને મ્યૂઝિક કમ્પોઝર છે. 'ચાર બંગડીવાળી ગાડી' ગીતમાં કિંજલ દવે સાથે જે નાનો છોકરો નાચતો જોવા મળે છે એ પણ મનુ રબારીનો જ પુત્ર વિરલ છે. તેઓ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના બેસ્ટ લિરિક્સ એવોર્ડના વિજેતા છે.
4000થી વધુ ગીતો
મૂળ પાટણના એવા મનુ રબારી પોતે માત્ર 10 પાસ છે અને અત્યાર સુધીમાં 4000થી વધુ ગીતો લખી ચૂક્યાં છે. તેમને નાનપણથી જ ગીતો સાંભળવાનો શોખ હતો અને 'મણીયારો' કેસેટ તેમની ફેવરિટ હતી. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ ન કરી શક્યાં અને તેમણે મુંબઇમાં હીરા ઘસવાનું કામ સ્વીકારી લીધું. આ દરમિયાન તેમણે આર.કે.ફિલ્મ સ્ટુડિયોની મુલાકાત લીધી અને એ સમયથી જ તેમના મનમાં પણ એક્ટર્સને મળતી લોકપ્રિયતા મેળવવાની ઇચ્છા જાગી.
પ્રથમ તક મળી 2006માં
થોડો સમય મુંબઇમાં કામ કર્યા બાદ તેમણે અમદાવાદમાં વસવાટ કર્યો અને અહીં તેમને વર્ષ 2006માં પોતાના રસનું કામ કરવાની પહેલી તક મળી. અમદાવાદમાં હીરા ઘસતા કિંજલ દવેના પિતા સાથે તેમની મુલાકાત થઇ અને તેમણે હીરા ઘસવાના કામ સાથે જ ગીત લખવાનું પણ શરૂ કર્યું. આ જોઇ મણીરાજ બારોટે તેમને પ્રથમ આલ્બમ માટે મદદ કરી અને ત્યાર બાદ તેમની ફિલ્મ 'મેના-પોપટ'માં ગીત લખાવની તક પણ આપી. એ પછી મનુ રબારીને પાછું ફરીને જોવાની જરૂર પડી નથી. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ગીત લેખક તરીકે તેઓ આગવી ઓળખ ધરાવે છે.