વિવાદો વચ્ચે રિલીઝ થઈ રજનીકાંતની ફિલ્મ, ફેન્સ પર ‘કાલા’ નો ફિવર
સુપરસ્ટાર રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ ‘કાલા' વિવાદો વચ્ચે આજે રિલીઝ થઈ છે. તેનો પહેલો શો સવારે 9 વાગે નહિ પરંતુ સવારે 4 વાગે શરૂ થયો.
સુપરસ્ટાર રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ 'કાલા' વિવાદો વચ્ચે આજે રિલીઝ થઈ છે. તેનો પહેલો શો સવારે 9 વાગે નહિ પરંતુ સવારે 4 વાગે શરૂ થયો. વળી, આ શો માટે તમિલનાડુના મોટાભાગના થિયેટરો પહેલેથી જ બુક્ડ છે. આ ફિલ્મની રિલીઝ અંગે રજનીકાંતના ફેન્સ ખાસા ઉત્સાહી જોવા મળી રહ્યા છે. ચેન્નઈમાં આજે રજનીકાંતના પોસ્ટર્સ પર દૂધ ચડાવ્યુ અને ફટાકડા ફોડવાની સાથે સાથે ઢોલ નગારા વગાડતા ફેન્સ થિયેટર પહોંચ્યા. આ ફિલ્મનો પહેલો શો જોવા માટે સવારે 4 વાગે થિયેટર સામે લાંબી લાંબી લાઈનો લાગી હતી અને ફેન્સ જોશમાં જોવા મળી રહ્યા હતા. સાઉથમાં રજનીકાંતની ફિલ્મો માટે તેમના ફેન્સ બહુ ઉત્સાહી રહે છે અને તેમની દરેક ફિલ્મ માટે થિયેટર્સ પહેલેથી જ બુક્ડ રહે છે. 'કાલા' સુપરસ્ટાર રજનીકાંતની આ વર્ષની પહેલી ફિલ્મ છે.
હું તમારો સહયોગ માંગુ છુ
પોતાની ફિલ્મ સરસ રીતે રિલીઝ થવા દવા માટે કર્ણાટકના લોકો પાસેથી રજનીકાંતે સહયોગ પણ માંગ્યો હતો. તેમણે કહ્યુ, "મે કંઈ ખોટુ કર્યુ નથી, મહેરબાની કરીને જે લોકો ફિલ્મ જોવા માંગે છે તેમને કંઈ ન કહો. હું તમારો સહયોગ માંગુ છુ." તેમણે આશા દર્શાવી કે કર્ણાટકના મુખ્યમંત્રી કર્ણાટક હાઈકોર્ટના આદેશનું પાલન કરીને તેમની ફિલ્મની રિલીઝ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેશે.
કાવેરી જળ વિવાદ અંગે કર્ણાટકમા વિરોધ
આ ફિલ્મ અંગે કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન પણ થયુ હતુ અને રાજ્યમાં તેના પર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો હતો. રજનીકાંતની ફિલ્મ ‘કાલા' ના વિરોધનું કારણ તેમનું કાવેરી જળ વિવાદ પર આપવામાં આવેલ એક નિવેદન છે. રજનીકાંતે કહ્યુ હતુ કે કર્ણાટકે કાવેરીમાંથી તમિલનાડુના ભાગનું પાણી છોડવું જોઈએ. ત્યારબાદ જ કર્ણાટકમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. કન્નડ ચાલાવલી વતલ પક્ષના અધ્યક્ષ વતલ નાગરાજે કહ્યુ હતુ કે કાવેરી જળ વિવાદ પર રજનીકાંતનો પક્ષ કર્ણાટકના લોકોના વિરોધમાં છે. માટે તેમની ફિલ્મ રાજ્યમાં રિલીઝ નહિ થવા દેવામાં આવે. ફિલ્મ ચેમ્બરે પણ પ્રતિબંધને સપોર્ટ કર્યો હતો અને કર્ણાટકમાં આને રિલીઝ નહી થવા દેવાની વાત કહી હતી. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત હુમા કુરેશી અને નાના પાટેકર પણ લીડ રોલમાં છે.
અભિનેતા પ્રકાશ રાજે કર્યુ હતુ ‘કાલા’ નું સમર્થન
સાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર પ્રતિબંધ લાવવા પર અભિનેતા પ્રકાશ રાજ ખુલીને સામે આવ્યા હતા. પ્રકાશ રાજે ટ્વિટ કરીને પોતાની વાત રજૂ કરી હતી અને કહ્યુ હતુ કે ફિલ્મ ‘કાલા' ને કાવેરી જળ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી તેમછતાં ફિલ્મને આમાં કેમ ઘસડવામાં આવે છે? ફિલ્મ ઉદ્યોગને જ કેમ હંમેશા નિશાન બનાવવામાં આવે છે? આ ફિલ્મ રિલીઝ થવી જોઈએ.
સુપ્રિમ કોર્ટે પણ રોક લગાવવાની કરી હતી મનાઈ
ફિલ્મ અભિનેતા રજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર લાગેલા પ્રતિબંધ મામલે કર્ણાટક હાઈકોર્ટે દખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યુ હતુ કે એ થિયેટરોની ડિટેલ સરકારને આપો જેમની સુરક્ષા પ્રદાન કરવા માટે તે બાધ્ય છે. રિલીઝના એક દિવસ પહેલા સુપ્રિમ કોર્ટે ફિલ્મ ‘કાલા' ની રિલીઝ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો. સુપ્રિમ કોર્ટે યાચિકા પર સુનાવણી દરમિયાન કહ્યુ કે બધા લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે એવામાં કોર્ટ ફિલ્મની રિલીઝમાં કોઈ દખલ કરવા ઈચ્છતુ નથી.
કર્ણાટકમાં રિલીઝ કરવી ઠીક નથીઃ સીએમ કુમારસ્વામી
કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ રિલીઝના બે દિવસ પહેલા જ કહ્યુ હતુ કે એક વ્યક્તિ રૂપે મારા અવલોકન અનુસાર આ પ્રકારના વાતાવરણમાં પ્રોડ્યુસર્સ અને વિતરકોએ કર્ણાટકમાંરા ફિલ્મ રિલીઝ કરવી ઠીક નથી.