સરસ્વતી ચંદ્ર સાથે કમબૅક કરશે મોનિકા બેદી
મુંબઈ, 19 ફેબ્રુઆરી : અત્યાર સુધીનો સૌથી ભવ્ય શો સરસ્વતી ચંદ્ર આગામી 25મી ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યાથી સ્ટાર પ્લસ ઉપર શરૂ થવા જઈ રહ્યો છે. આ શો અનેક લોકોના ભાગ્યનો ફેંસલો કરવાનો છે. સૌથી મોટો જુગાર તો શોના નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીએ ખેલ્યો છે કે જેઓ પ્રથમ વાર આ સીરિયલ દ્વારા ટેલીવિઝનના નાના પડદે એન્ટ્રી કરી રહ્યાં છે, તો બીજી બાજુ આ શો દ્વારા ગૅંગસ્ટર અબુ સલેમના પ્રેમિકા તથા અભિનેત્રી મોનિકા બેદી પણ કમબૅક કરી રહ્યાં છે.
પોતાના જીવન અને કૅરિયર માટે સરસ્વતી ચંદ્ર સીરિયલને ખૂબ જ મહત્વની માનતાં અભિનેત્રી મોનિકા બેદીએ જણાવ્યું કે તેઓ પોતાના જીવનનો કાળો ભૂતકાળ ભુલાવી ચુક્યાં છે અને હવે આગળ વધવા માંગે છે. તેથી તેમણે ઓરમાન માતાનો રોલ પસંદ કર્યો છે. મોનિકાએ શોના રોલ માટે સંજય લીલા ભાનુશાળીના દિલ ખોલીને વખાણ કર્યાં અને જણાવ્યું કે તેમને આશા છે કે લોકો તેમના આ રોલને જરૂર પસંદ કરશે. મોનિકાનો રોલ સરસ્વતી ચંદ્ર શોમાં ગ્રેશેડ વાળો છે.
આપને જણાવી દઇએ કે જાણીતા ગુજરાતી નવલકથા સરસ્વતી ચંદ્રની વાર્તા અગાઉ ફિલ્મ તરીકે રજૂ થઈ ચુકી છે. તેને નાના પડદે ભવ્યતા સાથે રજૂ કરવાનો પ્રયત્ન સંજય લીલા ભાનુશાળીએ કર્યો છે. સીરિયલમાં મુખ્ય કલાકારો જેનીફર સિંહ અને ગૌતમ રોડે છે. ભાનુશાળીએ આ અગાઉ નાના પડદા ઉપર રિયલિટી શોમાં જજની ભૂમિકા ભજવી છે.