અમદાવાદમાં કોરોનાના નવા 8627 કેસ, 8 દર્દીઓના મોત, માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન થયા 165
અમદાવાદ શહેરમાં 8627 નવા કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત નીપજ્યા છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 21 દિવસમાં કોરોના સંક્રમણના કારણે 30 લોકોના મોત થયા છે. જેમાંથી 13 દર્દી એવા હતા જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લઈ લીધા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 8627 નવા કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં 3081 રિકવરી પણ થઈ છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ સ્થિતિ ચિંતાજનક છે. અમદાવાદ જિલ્લામાં પણ એક જ દિવસમાં 177 નવા કેસ સામે આવ્યા અને 47 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં વધુ 42 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે જ્યારે 8 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 131થી વધીને 165 થઈ ગઈ છે. 24 કલાકમાં વધુ 188 ઘરના 770 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 18 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. અસારવા સિવિલમાં 70 કર્મચારી જ્યારે સોલા સિવિલમાં 40 કર્મચારી કોરોના સંક્રમિત થયાછે. અસારવા સિવિલમાં 70માંથી એક દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. 70માં વર્ગ 1થી વર્ગ 4ના દર્દીનો સમાવેશ થાય છે. 75થી વધુ સંભવિત કર્મચારીઓ હોમ આઈસોલેટ છે.
તમને જણાવી દઈએ કે 16 જાન્યુઆરી, 2021થી અમદાવાદ શહેરમાં કોરોના વેક્સીનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ફેબ્રુઆરી-21માં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં ચોથો સિરો સર્વે કરાવવામાં આવતા 27.2 ટકા લોકોમાં એંટીબૉડી વિકસિત થયેલ જોવા મળી. અમદાવાદમાં વર્ષ 2021માં 28 મેથી 3 જૂન, 2021 દરમિયાન મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પાંચમો સિરો સર્વે કરાવવામાં આવ્યો હતો.