અમદાવાદ જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઈ, સરકારી જમીન ખાલી કરાવવા આદેશ!
અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો એકર જમીન પર ભુમાફિઆઓના કબ્જામાં છે ત્યારે હવે અમદાવાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટરે જિલ્લામાં સરકારી જમીનો ખાલી કરવા આદેશ કર્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો એકર જમીન પર ભુમાફિઆઓના કબ્જામાં છે ત્યારે હવે અમદાવાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટરે જિલ્લામાં સરકારી જમીનો ખાલી કરવા આદેશ કર્યો છે.
આજે અમદાવાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ ઉપસ્થિત અધિકારીઓને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. કોવીડ મહામારી બાદ લાંબા સમય પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણના પ્રશ્ન સંદર્ભે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે ભવિષ્યમાં કોઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરો.
સંકલમ સમિતીની બેઠકમાં સાબરમતી નદીના પ્રદૂષણ અંગે પણ ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરે GPCBના સ્ટાફની પંદર દિવસમાં બેઠક યોજી યોજના બનાવવાના નિર્દેશ આપ્યા હતા અનેઅમદાવાદ મહાનગરપાલિકા સાથે સંકલન કરી પ્રશ્નનો ઉકેલ લાવવા તાકીદ કરી હતી. આ ઉપરાંત કલેક્ટરે આગામી માસથી તાલુકા કક્ષાએ પણ સંકલન બેઠક યોજવા તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે.
આ ઉપરાંત જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી જમીન પર દબાણ, અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા, જળ-જમીન પ્રદૂષણ અને કોરોનાની સભંવિત ત્રીજી લહેર માટેની જિલ્લા વહીવટીતંત્રની પૂર્વતૈયારી જેવા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.