અમદાવાદની ઉદગમ અને ઝેબર સ્કૂલે રસી મૂકાવેલ માતાપિતાને ફીમાં રાહતની આપી ઑફર
માસ-વેક્સીનેશનને પ્રોત્સાહન આપવા અને બાળકોની સુરક્ષા માટે અમદાવાદની અમુક સ્કૂલોએ અનોખી પહેલ શરૂ કરી છે.
અમદાવાદઃ સમગ્ર દેશ કોવિડ-19ની બીજી લહેરમાંથી બહાર આવવા માટે ઝઝૂમી રહ્યો છે અને રસીકરણ જ એકમાત્ર આશા છે જેનાથી નાગરિકોને કોરોના મહામારીની ત્રીજી લહેરથી બચાવી શકાય તેમ છે. માસ-વેક્સીનેશનને પ્રોત્સાહન આપવા અને બાળકોની સુરક્ષા માટે અમદાવાદની બે પ્રી-સ્કૂલ સહિત અગ્રણી CBSE સ્કૂલ ઉદગમ અને ઝેબરે કોવિડ-19ની ત્રીજી લહેરથી બચવા રસી લેવા માટે માતાપિતાને પ્રોત્સાહિત કરવા એક અનોખી પહેલ શરૂ કરી છે. આ સ્કૂલોએ ઑફર આપી છે કે 31, ઑક્ટોબર, 2021 પહેલા જે માતાપિતા સંપૂર્ણપણે રસી લઈ લેશે તેમના વાર્ષિક ફીમાં 5% રાહત આપવામાં આવશે. અમદાવાદની ચાર સ્કૂલના ગ્રુપ ઉદગમ સ્કૂલ, ઝેબર સ્કૂલ, સેટેલાઈટ સ્કૂલ ફૉર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાં રસીના બંને ડોઝ મૂકી દીધા હોય તેવા માતાપિતાને ફીમાં 5% કન્સેશનની ઑફર આપી છે.
આ ઑફરનો હેતુ માતાપિતાને જીવન બચાવતી રસી મૂકવા માટે પ્રોત્સાહિત કરવાનો છે કારણકે જેણે રસી મૂકી દીધી હોય તેવા લોકોનો મૃત્યુઆંક નહિવત છે. ચાર સ્કૂલોના 238 ક્લાસના 19,000 માતાપિતાને કવર કરવાનો હેતુ છે. આ યોજનામાં અપ્લાય કરવા માટે દરેક ક્લાસના બંને માતાપિતાએ તેમના વેક્સીન સર્ટિફિકેટ જમા કરાવવાનુ રહેશે. ઉદગમ સ્કૂલમાં 116 ક્લાસ, ઝેબર સ્કૂલમાં 63 ક્લાસ, સેટેલાઈટ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાં 39 ક્લાસ અને બોડકદેવ સ્કૂલ ફૉર ચીલ્ડ્ર્નમાં 20 ક્લાસ છે. આ પહેલથી સ્કૂલ રૂપિયા 2 કરોડથી 3.5 કરોડની ફી માફી આપશે.
ઉદગમ અને ઝેબર સ્કૂલના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યુ, 'કોવિડ-19ની આટલી ભયંકર બીજી લહેરથી અસરગ્રસ્ત થયા બાદ પણ અમુક લોકો હજુ રસી લેવામાં ખચકાઈ રહ્યા છે. એઈમ્સ, નવી દિલ્લી દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ રસી મૂક્યા પછી પણ કોવિડ-19 ફરીથી થયો હોય તેવા કેસમાં મોત થતુ નથી. ત્રીજી લહેરની સંભાવનાને જોતા અત્યારે સમયની માંગ છે કે દરેક નાગરિકે રસી લેવી જોઈએ. સરકારના મેગા વેક્સીન ડ્રાઈવને સહકાર આપવા અને માતાપિતાને આમ કરવાનુ પ્રોત્સાહન આપવા માટે અમે આ પહેલ શરૂ કરી છે જેમાં 2થી 3.5 કરોડ રૂપિયાની ફી માફી મળવાની છે.'
મનન ચોક્સીએ વધુમાં ઉમેર્યુ કે પશ્ચિમી દેશો જેવા કે યુએસ, કેનેડા અને યુકે માસ વેક્સીનેશન ડ્રાઈવને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે. ઘણા રાજ્યોમાં ફ્રી વસ્તુઓ અને અન્ય ઈન્સેન્ટીવ ઑફર કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે ઘણા કૉર્પોરેટ અને સ્થાનિક બિઝનેસ પણ આવી પ્રોત્સાહક યોજનાઓ સાથે આગળ આવ્યા છે. એક જવાબદાર સંસ્થા તરીકે, આપણે જવાબદારી લેવી જોઈએ કે જેથી આપણો સમાજ રસીના બંને ડોઝ લે અને સરકાર પર બોજ ઓછો પડે. અમારુ માનવુ છે કે અમારી પહેલથી માતાપિતાને સમયસર રસી લેવા માટે ચોક્કસ પ્રોત્સાહન મળશે.