અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના આરોપીઓની સજાની સુનાવણી ટળી, 11 ફેબ્રુઆરીએ થશે સુનાવણી
અમદાવાદઃ અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસોનો ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ આરોપીઓને હવે 11 ફેબ્રુઆરીએ સજા સંભળાવાય તેવી સંભાવના છે. આજે કોર્ટની કાર્યવાહી શરુ થઈ ત્યારે બચાવ પક્ષના વકીલે આરોપીઓને સુધરવાનો મોકો મળવો જઈએ તેમજ તેમની પારિવારિક સ્થિતિ, શૈક્ષણિક લાયકાતને પણ ધ્યાનમાં લેવાય તેવી વિનંતી કરતા જાહેરાત કરવામાં ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો.
સરકારી વકીલે સીરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓના ગુનાહિત ભૂતકાળ તેમજ જેલવાસ દરમિયાન તેમણે સાબરમતી જેલમાં કરેલા સુરંગકાંડનો ઉલ્લેખ કરીને તેમના પ્રત્યે કોઈ કૂણં વલણ ના રાખી કડકમાં કડક સજા કરવામાં આવે તેની માંગ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સરકારી વકીલે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો હવાલો આપીને તેમણે કરેલા ગુનાને ધ્યાનમાં રાખીને મહત્તમ સજા થવી જોઈએ તેવી કોર્ટને અપીલ કરી હતી. 8 ફેબ્રુઆરીએ સાડા તેર વર્ષથી પણ વધુ સમય સુધી ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે 28ને શંકાનો લાભ આપીને છોડી દેવાયા હતા. તાજના સાક્ષી બનેલા એક આરોપીની સજા માફ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આજે પણ કોર્ટની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી હતી. તમામ આરોપીઓને પણ તે જે જેલોમાં બંધ છે ત્યાંથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. આજે તમામ આરોપીઓને કોર્ટ સજા સંભળાવવાની હતી પરંતુ તેમાં મુદત પડી છે. અમદાવાદમાં સીરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નીપજ્યા હતા. જીવ ગુમાવનારા લોકોના સ્વજનો પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં 20 સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં સાઈકલ, ટિફિન તેમજ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌથી મોટો બ્લાસ્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે કરાયો હતો. જેમાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. અમદાવાદ પછી સુરતમાં પણ તેનુ પુનરાવર્તન કરવાનુ ષડયંત્ર રચાયુ હતુ. જો કે, 29 જુલાઈના રોજ આવુ કંઈ થાય તે પહેલા સુરતમાંથી મોટી સંખ્યામાં જીવતા બૉમ્બ મળી આવ્યા હતા. જેમને પોલિસે નિષ્ક્રિય કરી દીધા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 16 ઓગસ્ટના રોજ 10 લોકોની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે વર્ષો સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન 9 જજો બદલાયા હતા. છેલ્લે 2017માં અંબાલાલ પટેલની જજ તરીકે નિમણૂક કરાઈ હતી અને તેમણે જ આ કેસનો ચુકાદો આપ્યો છે. પોલિસે આ કેસમાં 51 લાખ પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. કુલ 78 આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ ચલાવવામાં આવી હતી. કોર્ટે 1171 સાક્ષીઓને તપાસ્યા હતા અને પુરાવા તરીકે 6 હજાર જેટલા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 78માંથી 51 આરોપીઓ હાલમાં અમદાવાદની જેલમાં બંધ છે જ્યારે ભોપાલમાં 10, તિહારમાં 2, ગયામાં 2, જયપુરમાં 2, વિજાપુરમાં 2, બેંગલુરુમાં 5 અને મહારાષ્ટ્રના તળોજાની જેલમાં 4 આરોપી બંધ છે.