કિશન ભરવાડ કેસના આરોપીઓને ATS ધંધુકા લઈ જઈ સમગ્ર ઘટના રિ-કન્સ્ટ્રક્શન કરશે
ધંધુકાના કિશન ભરવાડ ચકચારી હત્યા કેસના આરોપીઓને લઈને એટીએસ ધંધુકા લઈને જશે અને...
અમદાવાદઃ ધંધુકાના કિશન ભરવાડ ચકચારી હત્યા કેસના આરોપીઓને લઈને એટીએસ ધંધુકા લઈને જશે અને સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ગુજરાત એટીએસની ટીમ કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈને ધંધુકા જશે. બંને આરોપીઓએ કિશન ભરવાડની હત્યા કેવી રીતે કરી, ક્યાં રેકી કરી અને કેવી રીતે ફાયરિંગ કર્યુ તે સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. હત્યારાઓએ જ્યાં રેકી કરી હતી તે રોડ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.
ધંધુકામાં મોઢવાડા દરવાજા પાસે ફાયરિંગની હકીકત મેળવવામાં આવશે. ઘટનાના રિકન્સ્ટ્રક્શન બાદ સર મુબારક દરગાહ પાસે તપાસ કરવામાં આવશે. દરગાહ પાસે આરોપીઓએ હથિયાર અને બાઈક છૂપાવ્યા હતા તે અંગેની હકીકત મેળવી વધુ તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળે હાલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં આર્થિક મદદ કરનાર ધંધુકાના મતીન મોદન, પોરબંદરમાં સાજન ઓડેદરા હત્યાના ષડયંત્રમાં મદદ કરનાર હુસેન મિસ્ત્રી અને અમીન સેતાનીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા કોર્ટમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, 'અમને આ કેસમાં આતંકવાદી એંગલ મળ્યા પછી UAPAની અરજી કરવામાં આવી હોવાથી NIA અધિકારીઓ તપાસમાં જોડાયા છે પરંતુ સત્તાવાર રીતે તપાસ હાથ ધરી નથી.' એટીએસ અધિકારીએ જણાવ્યુ હતુ કે એનઆઈએ ઉપરાંત કેન્દ્રીય આઈબી પણ કેસની વિગતો લઈ રહી છે કારણકે તેની દિલ્લી સાથે પણ લિંક છે.