અમદાવાદમાં કાળઝાળ ગરમીના કારણે રોગચાળો વધ્યો, કમળો, ઝાડા-ઉલટી, ટાઈફોઈડના કેસો આવ્યા સામે
અમદાવાદમાં તાપમાનનો પારો વધી જતા અમુક વિસ્તારોમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસો વધવા લાગ્યા છે.
અમદાવાદઃ રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે જેના કારણે મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો વધી જતા અમુક વિસ્તારોમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસો વધવા લાગ્યા છે. હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે.
અમદાવાદ શહેરમાં આગ ઝરતી ગરમી દરમિયાન અશુદ્ધ પાણીના પગલે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં કમળો અને ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા છે. એપ્રિલ મહિનામાં જ ઝાડા-ઉલટીના 205 કેસો સામે આવ્યા છે. હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો કમળાના 54 અને ટાઈફોઈઢના 50 કેસ નોંધાયા છે. મેલેરિયાના 8, ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 3 કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઝાડા-ઉલટીના કેસોમાં 100 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે એપ્રિલમાં ઝાડા-ઉલટીના 110 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે માત્ર એપ્રિલ મહિનાના 10 દિવસમાં જ 210 કેસ સામે આવ્યા છે. રોગચાળો વકરતા તંત્ર દોડતુ થઈ ગયુ છે અને 5 દિવસમાં AMC દ્વારા પાણીના 650 નમૂના લેવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શેરડીના રસ, શિકંજી અને ઠંડાઈ સેન્ટરો પર આગામી દિવસોમાં સઘન ચેકિંગ વધારી દેવામાં આવશે. શેરડીના રસ કે સિંકજી સેન્ટરોમાં પાણીની ગુણવત્તા ખરાબ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે જેના પગલે સન સ્ટ્રોકથી બચવા માટે બિનજરુરી ઘરની બહાર નીકળવાનુ ટાળવુ જોઈએ. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. લોકોને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવા, છાશ, લીંબુ શરબત અને ઓઆરએસ પીવાની સલાહ આપવામાં આવી છે. ભીષણ ગરમીમાં બહારનો ખોરાક લેવાનુ ટાળવુ જોઈએ.
જો કે, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હીટવેવટની આગાહી નહિવત હોવાનુ જણાવવામાં આવ્યુ છે. આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. આગામી 48 કલાક સુધી તાપમાન 41 ડિગ્રી યથાવત રહેશે. આગામી 2થી 3 દિવસ સુધી રાજ્યનો હીટવેવમાંથી મુક્તિ મળશે. બે દિવસ બાદ રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 16 તારીખે હીટવેવની અસર જોવા મળશે. અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેશે.