અમદાવાદમાં પ્રથમ દિવસે 36 હજારથી વધુ વિદ્યાર્થીઓએ લીધી રસી, ગુજરાતમાં 4.94 લાખથી વધુ કિશોરોને અપાઈ રસી
રસીકરણના પ્રથમ દિવસે જ અમદાવાદમાં 36 હજારથી વધુ બાળકોને રસી અપાઈ હતી.
અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે એટલે કે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને કોરોના વાયરસની રસી આપવાનુ શરુ કરવામાં આવ્યુ છે ત્યારે પ્રથમ દિવસે જ અમદાવાદમાં 36 હજારથી વધુ બાળકોને રસી અપાઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પ્રથમ દિવસે 4,94,317 બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં 1.22 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 1.10 લાખ સહિત સમગ્ર જિલ્લાની શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 15થી 18 વર્ષના 2.32 લાખ જેટલા વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવાની છે. જેમાંથી પ્રથમ દિવસે અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની 33 સ્કૂલોના 9534 વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી છે. વળી, અમદાવાદ ગ્રામ્યની 70થી વધુ શાળાઓના 25 હજારથી વધુ વિદ્યાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં 35 લાખથી વધુ બાળકોને રસી આપવાની છે. કોરોના રસીકરણને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં હજુ સુધી ડિપ્લોમાં કોલેજો અને આઈટીઆઈ સહિતની સંસ્થાઓના વિદ્યાર્થીઓને રસી આપવાનુ શરુ કરવામાં આવ્યુ નથી અને ક્યારે થશે એ પણ હજુ નક્કી નથી. 7મીએ મેગા ડ્રાઈવમાં તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. વળી, બાળકોને કોવેક્સીન રસી મૂકવામાં આવી રહી છે માટે 28 દિવસ બાદ બીજો ડોઝ પણ બાળકોને મળી જશે જેના કારણે વિદ્યાર્થીઓને બોર્ડ તેમજ વાર્ષિક પરીક્ષાઓમાં પણ ચિંતા નહિ રહે. રાજ્યમાં પ્રથમ દિવસે અમુક શાળાઓમાં રસીકરણ શરુ થઈ શક્યુ નહોતુ પરંતુ તબક્કાવાર શાળાઓ વધશે અને તમામ વિદ્યાર્થીઓને 8મી સુધીમાં આવરી લેવામાં આવશે.