મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર વિઘ્ન, 1000 ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
પીએમ મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટું વિઘ્ન આડે આવ્યું
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિન્ઝો એબેએ મળીને સપ્ટેમ્બર 2017માં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લૉન્ચ કર્યો. ડિસેમ્બર 2017થી જ આ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું હતું. બુલેટ ટ્રેન મોદી સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાની એક હોવાથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ડેડલાઈન ઓગસ્ટ 2023થી ઘટાડીને ઓગસ્ટ 2022 કરી દેવામાં આવી છે.
1.08 લાખ કરોડના ખર્ચે બનશે બુલેટ ટ્રેન
પરંતુ પીએમ મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મોટું વિઘ્ન આડે આવ્યું છે. 1000થી પણ વધુ ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી બુલટ ટ્રેન પ્રોજેક્ટને તાત્કાલિક અસરથી અટકાવવાની માગણી કરી છે. નેશનલ હાઈ સ્પિડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા 1.08 લાખ કરોડના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ કાજ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ થનાર ખર્ચ માટે જાપાન દ્વારા સોફ્ટ લોન તરીકે 80 ટકા ફંડ ફાળવવામાં આવ્યું છે.
1400 હેક્ટર જેટલી જમીનનું સંપાદન કરાશે
જણાવી દઈએ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 1400 હેક્ટર જેટલી જમીનનું સંપાદન કરવાની જરૂર પડનાર હોય સરકાર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જરૂર પડનાર જમીનમાંથી 1120 હેક્ટર જમીન ખાનગી માલિકીની છે. અંદાજીત 6000 જેટલા જમીન માલિકોને તેમની જમીનના બદલામાં વળતર ચૂકવવામાં આવનાર છે.
ખેડૂતોને આ મુદ્દે છે વાંધો
ખેડૂતોને કુલ બે મુદ્દે વાંધો છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અસરનું મૂલ્યાંકન અને જમીન સંપાદન માટેના કાયદામાં થયેલ સુધારો. જેને કારણે ખેડૂતોને ઓછું વળતર મળી રહ્યું છે. જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA)ની માર્ગદર્શિકા મુજબ પર્યાવરણ અને સામાજિક અસર મૂલ્યાંકન માટે કમિટિ બનાવવાની રહે છે, પરંતુ ખેડૂતોએ ફરિયાદ કરી કે આવી કોઈ જ કમિટિનું ગઠન કરવામાં આવ્યું નથી. ૉ
JICAને લખ્યો પત્ર
છેલ્લે 2010માં એનવાયરન્મેન્ટલ અને સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે સમયે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ હાઈવે જેવા મેગા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.JICAને લખેલા પત્રમાં ખેડૂતોએ કહ્યું કે આ બધા પ્રોજેક્ટની એકત્રિત અસરની નવીનતમ આકરણી કરવાની જરૂર છે. અન્ય ઈન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આ વિસ્તારમાં રહેતા લોકોના જીવન પર ખરાબ અસર પાડી શકે છે. ઉપરાંત સરાકેર 2016માં જમીન અધિગ્રહણ કાયદો 2013માં કેટલાક સુધારા કર્યા હતા જેનો પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
કાયદો સરકારને બેલગામ પાવર આપે છે
ખેડૂતોએ કહ્યું કે 2013ના કાયદામાં થયેલ સુધારો JICAની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર છે. ખેડૂતોએ હાઈકોર્ટમાં કહ્યું કે કાયદામાં સુધારો કરતી વખતે તેમની સંમતિ માગી નહોતી અને આ અંગે તેમને કોઈ જાણકારી પણ આપી નહોતી. કાયદામાં થયેલ સુધારો રાજ્ય સરકારને કોઈપણ પ્રકારના પ્રોજેક્ટમાં સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટમાંથી બચવા માટે બેલગામ અને બિનજરૂરી પાવર આપે છે.
યોગ્ય વળતર નહિ મળે
વધુમાં ખેડૂતોએ કહ્યું કે જમીન અધિગ્રહણ કાયદાની કલમ 26 મુજબ જરૂરી હોય તે પ્રમાણે તેમની જમીનની કિંમતમાં સુધારો કરવામાં આવ્યો નથી. ખેડૂતો ઈચ્છે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર નહી પણ કેન્દ્ર સરકાર જમીન અધિગ્રહણની જવાબદારી સંભાળે. ખેડૂતોનું કહેવું છે કે બંને રાજ્યમાં જમીન સંપાદન કરવામાં આવશે અને રાજ્યની બોર્ડ પર એકસરખું વળતર નહિ મળે.
સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે અરજદાર
ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં ખેડૂતોએ કહ્યું કે જેમની જમીન પડાવવામાં આવી રહી છે તેમને યોગ્ય વળતર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે જમીન સંપાદન કરવું જોઈએ ન કે રાજ્ય સરકારે. બીજી બાજુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર રોક લગાવવા માટે અરજદાર સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવી શકે છે. કેન્દ્ર સરકાર જવાબ આપવામાં વિલંબ કરી રહી હોવાના પગલે વહેલી તકે સરકાર ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે તે ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.
બુલેટ ટ્રેનનો રૂટ
ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ પૂર્ણ થવા પર બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચેનું 500 કિમીનું અંતર કવર કરી લેશે. બુલેટ ટ્રેનની સ્પીડ 320થી 350 કિમીની હશે અને અમદાવાદથી મુંબઈ વચ્ચે કુલ 12 સ્ટેશન પર બુલેટ ટ્રેન ઉભી રહેશે.
આ પણ વાંચો- ઉત્તરાખંડ: ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ પાસ