સુરતનો 12 વર્ષીય ભવ્ય શાહ અધ્યાત્મના માર્ગે, આજે લીધી દીક્ષા
સુરતના હીરા વેપારીનો 12 વર્ષનાં દીકરો ભવ્ય શાહનો આજે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. તે આજે સંસારનો ત્યાગ કરી ધર્મ માર્ગે નીકળી પડ્યો છે.
સુરતના હીરા વેપારીનો 12 વર્ષનાં દીકરો ભવ્ય શાહનો આજે દિક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. તે આજે સંસારનો ત્યાગ કરી ધર્મ માર્ગે નીકળી પડ્યો છે. ત્યારે તેના દીક્ષા ગ્રહણ સમારોહમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ દીક્ષા ગ્રહણ કરતા સમયે એક રસપ્રદ બાબત જોવા મળી હતી. ભવ્ય શાહ દીક્ષા લેતા પહેલા સ્ટેજ પર નૃત્ય કરતો જોવા મળ્યો હતો. તેના નૃત્ય કરતા સમયે ઓડિયન્સમાં ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.
ભવ્યના દીક્ષા મહોત્સવમાં મંગળવારે પહેલા દિવસે નિશ્રાદાતા ગુણરત્નસૂરીજી, દીક્ષા માર્ગદર્શક રશ્મિરત્નસૂરીજી સહિતના 300થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોનું સામૈયું અઠવાલાઈન્સ લાલ બંગ્લા દેરાસરથી શરૂ થયું હતું. આ દરમિયાન 108 મહિલાઓએ માથા પર કળશ ધારણ કર્યું હતું. રાત્રિએ ફ્લેશ બેક જર્ની બાદ બુધવારે બાહુબલી થીમ પર ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. બાહુબલીની થીમ પર વરઘોડો નીકળ્યો હતો. જેમાં હજારો લોકો જોડાયા હતા. અને આજે જ્ઞાતવન ખંડની થીમ પર ભવ્યએ દીક્ષા લીધીને સંસાર છોડ્યો હતો.
સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં રહેતા દીપેશભાઈનો હીરાનો વેપાર ધરાવે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. થોડા સમય પહેલા તેની દીકરી પ્રિયાંશીએ દિક્ષા લીધી હતી. જ્યારે આજે તેમના 12 વર્ષનો દીકરો ભવ્ય શાહ દીક્ષા લીધી હતી. ભવ્યએ આચાર્ય રશ્મિરત્ન સૂરીની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી. ભવ્ય શાહના દીક્ષા ગ્રહણ સમારોહ માટે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. ભવ્યના પરિવારજનો માટે આ પળ આનંદની પળ બની રહી હતી. દીક્ષા ગ્રહણ કરતા પહેલા ભવ્યની જે પણ ઈચ્છાઓ હતી, તે પૂરી કરવામાં આવી હતી. સ્ટેજ પર ભવ્ય નૃત્ય કરતો જોવા મળ્યો હતો. આમ, ઉત્સાહ ઉમંગ સાથે આ વિધિ પૂરાઈ કરાઈ હતી.
આ પહેલા લક્ઝુરિયસ ફેરારી કારમાં દિક્ષાના મૂહુર્ત માટે તેની શોભાયાત્રા નીકળી હતી. માતાપિતાએ પણ ભારે લાડકોડથી દીકરાને સંસારનો ત્યાગ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભવ્ય શાહ ધોરણ-7માં ભણતો હતો.નોંધનીય છેકે અગાઉ ભવ્યની બહેને પણ દીક્ષા લઇને સંન્યાસનો માર્ગ પસંદ કર્યો હતો ને હવે બહેનના પગલે ભવ્યએ પણ દીક્ષા લીધી છે.