મહેસાણામાં પાટીદાર અને પોલિસના ધર્ષણમાં બ્રાહ્મણ યુવાન વાંક વગર પીસાયો!
ગત રવિવારે, મહેસાણામાં જેલ ભરો આંદોલન દરમિયાન પાટીદારો અને પોલિસના ધર્ષણ વચ્ચે એક બ્રાહ્મણ યુવક વગર વાંકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. હરિઓમ નામનો આ યુવક રવિવારે નોકરીએથી પરત ફરી રહ્યો હતો. ત્યારે તે પાટીદારોના ટોળામાં ફસાઇ ગયો હતો. પોતાનો જીવ બચાવવા તે ભાગ્યો પણ અચાનક જ તેના માથામાં કંઇ લાગ્યું અને તે ઢળી પડ્યો.
જ્યારે તેને હોશ આવ્યા ત્યારે તેને અને તેના પરિવારને ખબર પડી કે તેને પોલીસે એસઆરપીએ કરેલા ફાયરિંગને કારણે માથા તથા ગળા અને નાકના ભાગે 19 છરા વાગ્યા. આ છરા તેના મગજ ને ગળામાં ઘૂસી ગયા છે. જે બાદ હોસ્પિટલમાં આ તાત્કાલિક ઓપરેશન કરીને આ છરા નીકળવામાં આવ્યા છે. વધુમાં આ યુવાન તેના પરિવારનો એક માત્ર કમાનાર છે.
અધુરામાં પુરુ પોલિસે આ યુવાનને આરોપી તરીકે બતાવીને તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જે અંગે યુવકની માતા તથા અન્ય પરિવારજનો રોષે ભરાયા છે. નોંધનીય છે કે યુવક હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેનો પરિવાર પણ તેના સ્વાસ્થયને લઇને ચિંતાગ્રસ્ત છે.