વડોદરા ભાજપના ત્રણ ધારાસભ્યો પણ સરકારથી નારાજ, ડેમેજ કંટ્રોલનો સરકારનો પ્રયાસ
ગુજરાતમાં એક તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિદેશ પ્રવાસે છે ત્યારે, બીજી તરફ ભાજપમાં ઘણા સમયથી શાંત રહેલો આંતરિક અસંતોષનો ઉકળતો ચરુ બહાર આવી રહ્યો છે.
ગુજરાતમાં એક તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિદેશ પ્રવાસે છે ત્યારે, બીજી તરફ ભાજપમાં ઘણા સમયથી શાંત રહેલો આંતરિક અસંતોષનો ઉકળતો ચરુ બહાર આવી રહ્યો છે. કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ મધ્ય ગુજરાતના અને વડોદરા જિલ્લાના ભાજપના 3 ધારાસભ્યો નારાજ હોવાનું બહાર આવ્યું છે. આ ધારાસભ્યમાં વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ, વડોદરા શહેરની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ અને સાવલી બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા કેતન ઇનામદારનો સમાવેશ થાય છે. ભાજપના ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં ગુપ્ત બેઠક કરી પોતાની આંતરિક ચર્ચા કરી હતી.
ભાજપના ધારાસભ્યો પણ બળવાના મૂડમાં !
ધારાસભ્યોમાં પાર્ટીથી નારાજગી છે એવી વાત બહાર આવતાં ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. જોકે, આ વાતને ધારાસભ્ય કેતન ઇમાનદારે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અમે પાર્ટીથી નારાજ નથી અમે સરકારી અધિકારીઓથી નારાજ છીએ.
ભુપેન્દ્રસિંહનો મામલો થાળે પાડવા પ્રયાસ
બીજી તરફ ભાજપના મોવડી મંડળે ધારાસભ્યોના આંતરિક અસંતોષને ડામવાની જવાબદારી રાજ્ય સરકારના પ્રધાન અને સિનિયર નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપી છે. તેમણે તમામ ધારાસભ્યો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે, મીડિયા સાથેની વાતચીતમાં પણ આ પક્ષની આંતરિક બાબત હોવાનું જણાવ્યુ હતું તેમજ તેમની સમસ્યાનું નિવારણ કરવાનો દાવો પણ કર્યો હતો.
મંત્રીઓ પણ ગણકારતાં ન હોવાનો ધારાસભ્યોનો સૂર
ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ અને મંત્રીઓ પોતાની વાત સાંભળતા જ ન હોવાનો તેમજ તેમના કોઇ કામ પ્રત્યે પરવા ન કરતાં હોવાનો દાવો કર્યો હતો. નારાજ ધારાસભ્યોએ તેમની સાથે 20થી વધુ ધારાસભ્યો પણ અસંતૃષ્ટ હોવાનો દાવો કર્યો હતો. તો ભાજપે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઇને તાત્કાલિક ધોરણે તેનો યોગ્ય નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ધારાસભ્યોએ બળાપો કાઢતાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ વાતની ગંભીરતાને સમજતા નથી. તેઓ વાતને ગંભીરતાથી નથી લેતા એટલે અમારે ખુલીને બોલવું પડે છે, પરંતુ અમને વિશ્વાસ છે કે, અમારી સરકારનો આનો રસ્તો લાવશે. અમને મંત્રીઓથી નારાજગી નથી સરકારી અધિકારીથી નારાજગી છે. સરકાર બદનામ થાય તેવા પ્રયાસ કેટલાક અધિકારીઓ કરી રહ્યા હોવાનો બળાપો પણ ધારાસભ્યોએ કર્યો હતો.
વડાપ્રધાન મોદીને પણ કરી શકે છે રજૂઆત
ભાજપના ધારાસભ્યો પણ હવે પાર્ટીના નેતાઓથી નારાજ છે, પરંતુ ધારાસભ્યની વાત પરથી કહી શકાય કે, તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે અને તેઓ સરકારી અધિકારીથી નારાજ છે. અગાઉ ધારાસભ્યોએ આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રજુઆત કરી હતી. પરંતું, તેનું કોઇ નિરાકરણ ન આવતાં હવે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી શકે છે.
ભાજપમાં પણ છે ઉકળતા ચરુની સ્થિતિ
ભાજપમાં લાંબા સમયથી ઘણા ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય પરષોત્તમ સોલંકી અને બાબુ બોખિરિયા પણ પક્ષથી નારાજ છે. તો બીજી તરફ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઘણા નેતાઓ અને ધારાસભ્યોમાં પણ અસંતોષ છે. ત્યારે, લોકસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યોનો અસંતોષ ખાળવો ભાજપ માટે મુશ્કેલ છે. એક તરફ નીતિન પટેલ અને વિજય રૂપાણીના રાજીનામાંની અફવા પણ વહેતી થઇ રહી છે ત્યારે, ભાજપના ધારાસભ્યોનો બળવો ક્યાંક નવાજુનીના એંધાણ આપી રહ્યો છે.