આણંદ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત, 7 ઘાયલ
આણંદ નજીક એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અંગે વધુ વાંચો અહીં..
આણંદ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં નવસારીના પટેલ પરિવારના 3 લોકોનાં મોત થયા હતા, જયારે 7 ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા પેટલાદ ગ્રામ્ય પી.એસ.સાઈ. બી.પી.પટેલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાજેશભાઇ નાથુભાઈ પટેલની ફરિયાદને આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત અંગે જાણવા મળતી માહિતી મુજબ, નવસારીનો પટેલ પરિવાર સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે નીકળ્યો હતો. તેઓ રવિવારે રાત્રે 9 વાગ્યે ચોટીલા પહોંચ્યા હતા. ચોટીલાથી રાત્રે ખેરગામે જવા માટે પરિવારના 14 સભ્યો કારમાં નીકળ્યા હતાં. આ કાર રવિવાર મધ્યરાત્રીના 12.30 કલાકની આસપાસ ધર્મજ-તારાપુર હાઇવે પર આવેલ દંતેલી પાટીયા નજીક પહોંચી હતી. ત્યારે સામેથી પુર ઝડપે આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારનો કુચડો નીકળી ગયો હતો. ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ચાલક ચંપકભાઈ અર્જુનભાઈ પટેલ (ઉ.વ.32), કારમાં સવાર બ્રિજલબહેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.17), ટીનાબહેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.32)ને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.