સાબરમતીમાં ડુબી જતાં ત્રણ યુવાનો મોતને ભેટ્યા, ત્રણ યુવાનોનો આબાદ બચાવ
મહેસાણા જિલ્લાના વાઘડી ગામ નજીક સાબરમતી નદીમાં ન્હાવા પડેલ 6 યુવાનોમાંથી ત્રણ યુવાનો ડુબી જતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
મહેસાણા જિલ્લાના વાઘડી ગામ નજીક સાબરમતી નદીમાં ન્હાવા પડેલ 6 યુવાનોમાંથી ત્રણ યુવાનો ડુબી જતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. છ યુવાનોમાંથી ત્રણ યુવાનોને ગામલોકોએ બચાવી લીધા હતા, પરંતું, ત્રણ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બચાવી શકાયા નહોતા.
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારની સત્તાધાર સોસાયટીમાં રહી અભ્યાસ કરતા મિત્રો ઉનાળાની ગરમીમાં રાહત ફરવા ગયા હતા. રવિવારની સવારે તમામ મિત્રો કાર લઈ વડનગર પાસે આવેલી સાબરમતી નદીમાં ન્હાવા પડ્યા. ત્યારે, અચાનક ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે ત્રણ કિશોરોને ગામલોકોએ મહાપ્રયત્ને બહાર કાઢ્યા હતા. પરંતું, ત્રણ યુવાનો મોતને ભેટ્યા હતા. આ ત્રણ યુવાનો પોતાના પરિવારમાં એક માત્ર સંતાનો હોવાથી પરીવારજનો પર જાણે કે દુખનો પહાડ તુટી પડ્યો હતો.
ધરોઈ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હતો
સત્તાધાર સોસાયટીના મિત્રો રવિવારની રજા હોવાને કારણે એક દિવસીય પ્રવાસનું આયોજન કર્યુ હતું, જેના કારણે તેઓ બે કાર લઈ ફરવા નિકળ્યા હતા. તેઓ આજે લગભગ દસ વાગ્યાના સુમારે વડનગર પાસેના વાઘડી ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડ્યા હતા. ઉનાળામાં પાણીની અછત ઉભી થઈ હોવાને કારણે ધરોઈ ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હતો. જો કે નદીમાં ન્હાઈ રહેલા આ બારેય મિત્રોને પાણી વધી રહ્યુ છે તેનો અંદાજ આવ્યો નહીં કારણ બધા જ સરખી ઉમંરના 17-18 વર્ષના હતા. આ દરમિયાન લગભગ એક વાગ્યાના સુમારે ન્હાઈ રહેલા કિશોરો પૈકી પાર્થ નામનો કિશોર ઉંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો, જેણે મદદ માટે બુમો પાડતા તેની મદદે તેના મિત્રો આયુશ કેતન પટેલ, ભવ્ય પરેશ પટેલ અને મિહીર નિર્મલ પટેલ આવ્યા હતા.
ત્રણે બાળકો તેમના પરિવારમાં એક માત્ર પુત્ર હતા
ભવ્ય પટેલ પોતાના મિત્ર પાર્થને મદદ કરવામાં સફળ રહ્યો હતો, તેણે પાર્થનો પગ ખેંચી તેને બહાર કાઢ્યો હતો પણ આ દરમિયાન આયુષ, ભવ્ય અને મિહીર પાણીમાં ડુબવા લાગ્યા હતા. પાણીનું સ્તર વધી ગયુ હોવાને કારણે તેમને કોઈ મદદ કરે તે પહેલા તેઓ પાણીમાં ડુબી ગયા હતા. જ્યારે બહાર આવેલા પાર્થે પોતાના અમદાવાદના મિત્ર જય પટેલને ફોન દ્વારા આ બનાવની જાણ કરી હતી. આ પ્રવાસમાં જય પટેલ પણ જવાનો હતો, પણ ટ્યુશન ક્લાસ હોવાને કારણે છેલ્લી ઘડીએ પ્રવાસમાં આવવાનું ટાળ્યુ હતું. જ્યારે આ બનાવની જાણ સત્તાધાર સોસાયટીમાં થઈ ત્યારે વાતાવરણ શોકમય બની ગયુ હતુ કારણ ત્રણે બાળકો એક જ સોસાયટીમાં રહેતા હતા અને ત્રણે બાળકો તેમના પરિવારમાં એક માત્ર પુત્ર હતા.
ત્રણ યુવાનોના મોતથી કરુણાંતિકા ફેલાઈ
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આયુશે તાજેતરમાં જ 12 ધોરણની પરિક્ષા આપી હતી અને તે ઘાટલોડીયાની નાલંદા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. મિહીર તાજેતરમાં અગિયારમાં ધોરણની પરીક્ષા પાસ કરીને ધોરણ 12માં આવ્યો હતો અને કર્મચારી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જ્યારે અન્ય એક મૃતક ભવ્ય ગાંધીનગરની સ્કૂલ ઓફ એચિવર્સમાં અભ્યાસ કરતો હતો. એક સાથે ત્રણ યુવાનોના મોતથી કરુણાંતિકા ફેલાઈ ગઈ હતી.