રાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અમલવારી ડિસેમ્બરથી કરાશે
રાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર, ડિસેમ્બરથી થશે અમલીકરણ
રાજ્યના ઘણા વિસ્તારમાં અપુરતો વરસાદ થવાના કારણે દુષ્કાળની સ્થિતિ છે. ત્યારે, આ વિસ્તારોને મોડે મોડેથી પણ સરકારે આખરે અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત કર્યા છે. રાજ્યમાં ૨૫૦ મી.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 3 હજાર કરોડ જેટલી રકમ વપરાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અછતગ્રસ્ત વિસ્તારો અંગે જાહેરાત કરી હતી.
અછતગ્રસ્ત તાલુકાઓને સરકારી યોજનાઓનો લાભ અપાશે
રાજ્યમાં આ વર્ષે કેટલાક તાલુકાઓમાં& ઓછો વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોએ જે વાવેતર કર્યુ હતુ તેમાથી ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં વાવેતરને નુકશાન થયુ છે. કેટલીક જગ્યાએ પાક નિષ્ફળ ગયો છે અને પાકનું ઉત્પાદન પણ સામાન્ય ધારાધોરણ કરતા ઓછુ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવુ પડ્યુ છે. ત્યારે, આવા ઓછા વરસાદ વાળા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરીને ભારત સરકાર અને રાજ્ય સરકારના લાભ ખેડૂતો-પશુપાલકોને આપવા સરકારે નિર્ણય કર્યો છે.
250 મીમીથી ઓછા વરસાદ વાળા વિસ્તારો અછતગ્રસ્ત જાહેર
ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોને મદદરૂપ થઇ શકાય તે માટે સરકાર દ્વારા ૧૨૫ મી.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની પધ્ધતિ હતી. જેમાં હવે ગુજરાત સરકારે પણ ૧૨૫ મી.મી. સુધીના વરસાદને બદલે ૨૫૦ મી.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતલક્ષી, પશુપાલકલક્ષી અને ગામડાલક્ષી અગત્યનો ઉદાર નિર્ણય કર્યો છે.
51 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા
રાજ્યમાં આ વર્ષે ૨૫૦ મી.મી. થી ઓછો વરસાદ થયો હોય અને ભારત સરકારના અન્ય ધારાધોરણમાં સમાવિષ્ટ થઇ શકે તેવા ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. આ તાલુકા અછતગ્રસ્ત જાહેર થતાં આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યુ હોય અને જે ખર્ચ થયુ હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ ૬૮૦૦ રૂપીયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પરંતું, વધુમાં વધુ આ સહાય ૨ હેક્ટર સુધી ચુકવવામાં આવશે.
ગૌશાળા-પશુપાલકો માટે ખાસ વ્યવસ્થા કરાશે
અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘુ પડતુ હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યા જ્યા ઢોરવાડા ઉભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.૨૫ ની મદદ કરવામાં આવે છે તેમા વધારો કરીને જ્યારે મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મુકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.૭૦ ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.૭૦ ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.૨૫ ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને ૨ રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા ૫૧ તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ.૨ કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ પહેલી ડિસેમ્બરથી કરવામાં આવશે.
દરેક પરીવારને 150 માનવ દિવસ રોજગાર અપાશે
રાજ્ય સરકાર અછતગ્રસ્ત વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે નરેગા યોજના હેઠળ ૧૦૦ માનવદિવસના બદલે ૧૫૦ માનવદિવસ રોજગારી પુરી પડાશે. ૫૧ તાલુકાઓમાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે તે તમામ શાળાઓમાં ભણતા બાળકોને સળંગ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આ શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો પણ વેકેશન દરમિયાન પણ ભોજન ચાલુ રહેશે.