રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદી ઝાપટા સાથે વાવાઝોડાથી 2ના મોત
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું.
રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. કચ્છ અને પાટણ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો હતો. કચ્છના જુદા-જુદા વિસ્તારમાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ભુજ-માંડવી હાઇવે પર વરસાદને કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોરાજી-ઉપલેટા સહિતના વિસ્તારોમાં વરસાદી માવઠાથી હરાજીનો માલ પણ પલડી ગયો હતો.
ધોરાજી અને ઉપલેટા પંથકમાં એકથી સવા ઇચ જેવો વરસાદ વરસી ગયો હતો. મોરબી જિલ્લાના હળવદમાં વિજળી પડવાથી બેના મોત નીપજ્યાના અહેવાલ છે. તો આ બાજુ પાટણ જિલ્લામાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી. રાધનપુરમાં એકા-એક વાતાવરણમાં પલટો આવતા વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ વરસાદી માહોલ સર્જાયો હતો. રાધનપુર માર્કેટમાં ખેતપેદાશ વેચાણ અર્થે લાવેલા ખેડૂતોની ઉપજ પલડી જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો, ત્યારે આજે અચાનક રાજકોટ, મહેસાણા, પાટણ, હળવદ, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને મહેસાણાના કડીમાં વરસાદ પડવાના કારણે માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલ ઘઉં, રાયડો, એરંડા સહિતનો લાખો રૂપિયાનો પાક પલડી જતા ભારે નુકશાન થયુ છે. જુનાગઢમાં કમોસમી વરસાદ થતા કેરીના પાકને મોટુ નુકશાન થયુ છે. જ્યારે મોરબીના હળવદમાં વિજળી પડવાના કારણે બે લોકોના મોત થયા છે. જેમાં ૨૭ વર્ષીય મહિલા સીમાબેન પરમાર અને ૬ વર્ષના બાળક મેહુલ તડવીનો સમાવેશ થાય છે. દરમિયાન હજી આગામી ૧થી ૨ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવા ઉપરાંત વરસાદના છાંટા પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના કારણે ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે.
તો હવામાન વિભાગના ગુજરાતના વડા જયંત સરકારે જણાવ્યું હતું કે વરસાદ અને ભેજ વાળા વાતાવરણ બાદ અમદાવાદ, દીવ, ડીસા, રાજકોટ સુરેન્દ્રનગર, અમરેલીમાં વાદળછાયા વાતાવરણને પગલે તાપમાન સામાન્ય રહેશે પરંતુ બે દિવસ બાદ રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોને કારણે વાતાવરણ વધારે ગરમ રહેશે.