ભાજપે બનાવ્યુ 'સાવકુ સૌરાષ્ટ્ર' પરંતુ કેજરીવાલ બનાવશે 'સોનેરી સૌરાષ્ટ્ર', આ મારુ વચન છેઃ રાઘવ ચઢ્ઢા
રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણી નિમિત્તે ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાવનગરમાં મીડિયા સાથે વાતચીત કરી.
અમદાવાદ/ભાવનગરઃ રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણી નિમિત્તે ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ભાવનગરમાં મીડિયા સાથે વાતચીત કરી. પોતાના સંબોધનમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે હું ભાવનગરની ઐતિહાસિક ધરતી પર છુ અને ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. હું તેમની ભાવનાઓ અને તેમની દેશભક્તિને સલામ કરુ છુ અને ભાવનગરમાં પોતાનો કાર્યક્રમ શરુ કરુ છે. ભાવનગરે માત્ર ગુજરાતને જ નહિ પરંતુ આખા દેશને મોટી હસ્તીઓ આપી છે. ભાવનગરે મહાન નેતાઓ અને મહાન વિદ્વાનો આપ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગરના છે પરંતુ અફસોસની વાત એ છે કે ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારોએ ભાવનગરને કંઈ આપ્યુ નથી.
રાઘવ ચઢ્ઢાએ સ્કૂલો વિશે વાત કરીને જણાવ્યુ કે ગુજરાતના શિક્ષણ મંત્રી ભાવનગરથી આવે છે પરંતુ 27 વર્ષમાં ભાવનગરની શાળાઓની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. અહીં હૉસ્પિટલ અને આરોગ્ય સેવાઓના નામે લોકોની મજાક ઉડાવવામાં આવી રહી છે. હૉસ્પિટલનું મોટુ બિલ્ડીંગ દૂરથી દેખાય છે ખરુ પરંતુ તેની અંદર કોઈ ડૉક્ટર નથી, દવા નથી, નર્સ નથી અને બેડ પણ નથી. આજે ભાવનગરની હાલત એવી છે કે લોકોને નાની-મોટી બીમારીની સારવાર માટે અમદાવાદ અને રાજકોટ સુધી દોડવુ પડે છે. આટલા મોટા મંત્રીઓ અને નેતાઓ આપ્યા પછી ભાવનગરમાં રોડની હાલત સારી થવી જોઈતી હતી. હું દસ વર્ષ પહેલા ભાવનગર આવ્યો હતો અને ભાવનગરના રસ્તાઓની હાલત ત્યારે હતી તેના કરતા આજે વધુ ખરાબ છે. રસ્તાઓ કરતા વધુ ખાડાઓ દેખાય છે. જંગલી પ્રાણીઓ શેરીઓમાં ફરે છે. માળખાકીય સુવિધા હોય, રસ્તાઓ હોય, ઉદ્યોગો હોય કે રોજગાર હોય ભાવનગરના લોકો સાથે દરેક બાબતે છેતરપિંડી કરવામાં આવી છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે 27 વર્ષની અહંકારી ભાજપ સરકારે સૌરાષ્ટ્ર સાથે સાવકી મા જેવુ વર્તન કર્યુ છે. ભાજપે સાવકુ સૌરાષ્ટ્ર બનાવ્યુ છે પણ અરવિંદ કેજરીવાલ 'સોનેરી સૌરાષ્ટ્ર' બનાવશે. હું સૌરાષ્ટ્રની દરેક વ્યક્તિને વિનંતી કરવા આવ્યો છુ અને 'સોનેરી સૌરાષ્ટ્ર' બનાવવા માટે તેમનો સહયોગ માંગુ છુ. ગુજરાતનું વાર્ષિક બજેટ રૂ. 2.5 લાખ કરોડ છે, એટલે કે ગુજરાત સરકારે દર વર્ષે હૉસ્પિટલ બનાવવા, સ્કૂલ બનાવવા, રોડ બનાવવા, દવાખાના, ફ્લાયઓવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ રૂ. 2.5 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. મારે ભાવનગરની જનતાને પૂછવુ છે કે તમને આમાંથી કોઈ પૈસા મળ્યા? શું તમને એક જ પૈસો પણ મળ્યો? જો તમને આ 2.5 લાખ કરોડ રૂપિયામાંથી એક પણ પૈસો ના મળ્યો હોય તો કયા એ નેતાઓ છે જે તમારા પૈસા ચાઉ કરી ગયા?
રાઘવ ચઢ્ઢાએ ભાજપના વિકાસ મૉડલની ધજિયા ઉડાવતા કહ્યુ કે ગુજરાતની કુલ વસ્તી સાડા છ કરોડ છે અને ગુજરાતનુ વાર્ષિક બજેટ અઢી લાખ કરોડ રૂપિયા છે. તો ગુજરાત સરકાર દર વર્ષે કાગળ પર માથાદીઠ 38000 રૂપિયા ખર્ચે છે. મારે તમને પૂછવુંછે કે શું આ પૈસા કોઈના સુધી પહોંચે છે? વિકાસના નામે આ વિશ્વાસઘાત ગુજરાત સરકારે તમારી સાથે કર્યો છે. હવે 27 વર્ષની અહંકારી સરકારને હટાવવા માટે ગુજરાતની જનતાએ સાથે મળીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આગળ આવવુ પડશે. અરવિંદ કેજરીવાલજી કહે છે કે મે દિલ્લીના દરેક વ્યક્તિને 300 યુનિટ વીજળી મફત આપી, દર મહિને 20,000 લિટર પાણી મફત આપ્યુ, મોહલ્લા ક્લિનિક્સ અને સારી સારવાર આપી, અદ્ભુત હૉસ્પિટલો બનાવી, દરેક બાળકને ઉત્તમ શિક્ષણ આપ્યુ, વૃદ્ધોને મોટા-મોટા મંદિરોના દર્શન કરાવ્યા. દિલ્લીની મહિલાઓને મફતમાં બસ મુસાફરી કરાવી અને આ બધા કામના આધારે અરવિંદ કેજરીવાલજી વોટ માંગે છે.
રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યુ કે જો છેલ્લા 62 વર્ષથી આ પક્ષો તમારુ જીવન વધુ સારુ ન બનાવી શક્યા હોય અને ગરીબી નાબૂદ કરી શક્યા હોય તો આવનારા દિવસોમાં પણ તેઓ કંઈ શકશે નહિ. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે જો તમે કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા છે તો હવે અરવિંદ કેજરીવાલજીને માત્ર 5 વર્ષ આપીને જુઓ. જો તમને પાંચ વર્ષમાં અમારુ કામ ના ગમે તો પાંચ વર્ષ પછી અમને મત ન આપતા. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને એક તક આપો. દિલ્લીની જનતાએ દિલ્લીમાં 15 વર્ષ જૂની સરકારને હટાવીને આમ આદમી પાર્ટીને તક આપી અને પંજાબની જનતાએ 50 વર્ષ જૂની કોંગ્રેસ અને અકાલી દળની સરકારને હટાવીને આમ આદમી પાર્ટીને તક આપી. તો હવે એ જ રીતે ગુજરાતની જનતા કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉથલાવી દે અને આમ આદમી પાર્ટીને તક આપે.
રાઘવ ચઢ્ઢાએ પોતાના વિશે જણાવ્યુ કે, હું સીએ છુ અને હું આંકડા સમજુ છુ. મને એ કહેતા દુ:ખ થાય છે કે ગુજરાતની ભ્રષ્ટ સરકારે ગુજરાતને 3.5 લાખ કરોડનુ દેવાદાર કરી દીધુ છે. ગુજરાતની જનતાને જેટલી સમજ છે એટલી બિઝનેસની સમજ કોઈને નથી. અહીંની આબોહવામાં વેપાર છે. ગુજરાતીઓ ખોટમાં ચાલતા ધંધાને પણ નફામાં ફેરવી દે છે પરંતુ ગુજરાતના ભ્રષ્ટ રાજકારણીઓએ નફાખોરી કરીને સરકારને દેવાદાર બનાવી દીધી છે. ચઢ્ઢાએ ઉમેર્યુ કે, ગુજરાતની કુલ વસ્તી સાડા છ કરોડ છે અને 3.5 લાખ કરોડનુ દેવુ છે એટલે પ્રતિ વ્યક્તિ 58 હજારનુ દેવુ છે એમ કહી શકાય. ગુજરાતમાં બાળકનો જન્મ થતાં જ તેના પર 58 હજારનુ દેવુ થઈ જાય છે. હું તમને બધાને વિનંતી કરુ છુ કે ગુજરાતને દેવામુક્ત બનાવવાનો મોકો અરવિંદ કેજરીવાલજીને આપો.