અમદાવાદ, 10 એપ્રિલ : અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)ને ગુજરાતમાં બેવડા આંચકા મળ્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ગુમ થઇ ગયા છે. બીજી બાબત એ છે કે આપના એક પૂર્વ ઉમેદવાર પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
આ અંગે ગુજરાતમાં 'આપ'ના પ્રવક્તા હર્ષિલ નાયકે જણાવ્યું છે કે વિધાનસભાની પેટા ચૂંટણી માટે જુનાગઢ જિલ્લાની તેમના વિસાવદર બેઠકના ઉમેદવાર કનકરાય કાનાણી બુધવાર, 9 એપ્રિલથી ગુમ થઇ ગયા છે.
'આપ' દ્વારા વિસાવદરની બેઠક માટે ધીરુભાઇ ભાખડને બદલે કાનાણીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ગુજરાતની જે 7 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તે માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ છે.
નાયકે જણાવ્યું કે અમે તેમની ભાળ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી તેમની સુધી પહોંચવામાં મુશ્કેલી નડી રહી છે. ઉમેદવારી પત્ર ભરવાની સમય સુધી તેમનો પત્તો નહીં લાગે તો આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના દીકરા ભરત પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રાબડિયા વચ્ચે સીધો જંગ ખેલાશે.
જ્યારે 'આપ'ના પૂર્વ ઉમેદવાર સાવજરાજ સોઢાએ જણાવ્યું કે 'આપ'ની વિચારધારા સ્વસ્છ છબીવાળી વ્યક્તિનું સમર્થન કરવાની છે. છેલ્લા કેટલાક દિવસથી પાર્ટી તેના લક્ષ્યથી ભટકી ગઇ છે. આથી મેં કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને મારું સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.