હાર્દિકની સુરતની રેલી અને સભા બાદ રિપોર્ટથી ભાજપમાં ચિંતા વધી
ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાસ લીડર હાર્દિક પટેલના રોડ શો અને યોગી ચોક વરાછામાં યોજાયેલી મહા ક્રાંતિસભાએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. સુરતની સભા બાદ હાર્દિક વધુ મજબુત થયો છે.
ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાસ લીડર હાર્દિક પટેલના રોડ શો અને યોગી ચોક વરાછામાં યોજાયેલી મહા ક્રાંતિસભાએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. કારણ કે સ્ટેટ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો)એ હાર્દિક પટેલની સભા અને રોડ શો બાદ રિપોર્ટ ફાઇલ કર્યો છે કે સુરતની સભા બાદ હાર્દિક વધુ મજબુત થયો છે. અને સુરત તેમજ સૌરાષ્ટ્રમાં ભાજપને મોટુ નુકશાન થઇ રહ્યું છે. જેના કારણે ભાજપ આ ચૂટણીમાં 150 પ્લસનો ટારગેટ મેળવી શકે તે વાત તો દૂર રહી પણ વધુમાં વધુ 100 થી 105ની વચ્ચેની બેઠકો જ મેળવી શકશે. જેના કારણે ભાજપની ચિંતા વધી ગઇ છે.
રવિવારે, હાર્દિકની યોગી ચોક વરાછાની સભામાં અંદાજે બે લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી. આ ઉપરાંત, ફેસબુક લાઇવમાં પણ અંદાજે 25 હજાર લોકોએ હાર્દિકને સાંભળ્યો હતો. તેમજ સુરતમાં આખો દિવસ ચાલેલા રોડ શોમાં અંદાજે 5 લાખની વધુ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રોડ યોજ્યો હતો. જેમાં આઇબીના રિપોર્ટ પ્રમાણે માંડ બે લાખ લોકો જોડાયા હતા. જે ભાજપ માટે ગંભીર સંકેત છે.
બીજી તરફ હવે હાર્દિક પટેલે પણ સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની રેલીઓ અને રોડ શોની સંખ્યા વધારી દીધી છે. અને તેના ભાષણમાં રીતસરનુ ભાજપને હરાવવાની વાત હોય છે. જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઇ રહ્યો છે. ત્યારે જો ભાજપ 100થી 105 વચ્ચે જ સીટો મેળવે ગુજરાતમાં જ નહી પણ સમગ્ર ભારતમાં ભાજપને લઇને ઘણા સવાલ ઉભા થઇ શકે તેમ છે. આ ઉપરાંત, ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રમોટ કરીને લોકો પાસે મત માંગી રહ્યું છે. જેથી જો 150 પ્લસ, 130 કે આવે તો ભાજપ માટે કંઇક મજબૂત આધાર રહેશે. નહીંતર જો આઇબીના રિપોર્ટ પ્રમાણે સીટો આવી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાખને પણ ફટકો પડી શકે તેમ છે.