કુખ્યાત બૂટલેગર રઘુ સવાના ભત્રીજાની છરી મારીને હત્યા
ગુરૂવારે મોડી રાત્રે રામોલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા 22 વર્ષીય યુવકની છરી વડે હત્યા થઇ હોવાની ઘટના બની હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે વધુ વાંચો અહીં
ગુરૂવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ અમદાવાદ જિલ્લાના રામોલ ખાતે અક્ષય સવા નામના યુવકની હત્યા થઇ હતી. રામોલ પોલીસ મથકમાં આ મામલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 22 વર્ષીય અક્ષયને છરીના સાત જેટલા ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, અક્ષય સવાને રાત્રે 12 વાગ્યાની આસપીસ કેટલાક યુવકોએ ફોન કરીને બોલાવ્યો હતો. યુવાનો વચ્ચે કોઇ વાતે તકરાર થતાં અક્ષય પર અન્ય યુવકોએ છરી વડે હુમલો કર્યો હતો, તેને છરીના સાત ઘા મારવામાં આવ્યા હતા. આ હુમાલમાં તેને પેટ અને છાતીના ભાગે ઇજા થતાં તે ફસડાઇ પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો અનુસાર, મૃતક અક્ષય સવા કુખ્યાત બૂટલેગર રઘુ સવાના ભાઇ મુકેશ સવાનો પુત્ર હતો. તે અમરાઇવાડી વિસ્તારમાં રહેતો હતો. આથી પોલીસનું માનવું છે કે, રઘુ સવા સાથેની અંગત દુશ્મનીના કારણોસર આ હત્યા કરવામાં આવી હોય એવી શક્યતા છે. રઘુ સવા દારૂ સિવાય જુગારધામના ધંધા સાથે પણ સંકળાયેલો હતો અને તેને અનેક લોકો સાથે દુશ્મનાવટ હતી. આ દુશ્મનાવટનો ભોગ અક્ષય બન્યો હોય એવી શક્યતા છે. જો કે, પોલીસ અન્ય થિયરીને આધારે પણ તપાસ કરી રહી છે.