3 નરાધમોએ સગીરાનું અપહરણ કરી ગુજાર્યું સામુહિક દુષ્કર્મ
ત્રણ નરાધમોએ અમદાવાદના બાવળા તાલુકાની જેકડા ગામની સગીરાનું અપરહણ કરી તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની જેકડા ગામની સગીરા પર નરાધમોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણ નરાધમોએ સગીરાનું અપહરણ કરી તેને પ્રાંતિજ લઇ ગયા હતા અને ત્યાં સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની માતાએ આ મામલે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, બાવળા પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે અને સગીરાને મેડીકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બાવળા તાલુકાના જેકડા ગામની સગીરાની માતાએ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 21 મેના રોજ ગામમાં વાવાઝોડું આવ્યું હતું, તે સમયે ગામના ત્રણ શખ્સોએ સગીરાનું અપહરણ કરી તેની પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. 21 મેથી ગુમ થયેલી સગીરા 25 મે સુધી પરત ન ફરતા પરિવારજનોએ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ તેમના ગામના જ ત્રણ નરાધમો સગીરાનું અપહરણ કરી તેને પ્રાંતિજ બાજુ લઈ ગયા હતા અને ત્યાં સગીરાને એક મકાનમા ગોંધી રાખી હતી. ત્રણે નરાધમોએ સગીરાને પાંચ દિવસ સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી. ત્યાર બાદ આ ત્રણેય શખ્સો સગીરાને અમદાવાદ ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે મુકીને ફરાર થઇ ગયા હતા. સગીરાના પરિવારને જાણ થતા બાવળા પોલીસ સ્ટેશન ખાતે સગીરાનું અપહરણ અને સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બાવળા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.