ધરણા પર બેઠેલ ચૈતન્ય મહારાજે ભારતી બાપુના હસ્તે કર્યા પારણાં
કેરળમાં ગૌહત્યા મુદ્દે ધરણા પર બેઠેલા ચૈતન્ય શંભુમહારાજે ગુરૂવારે ભારતી બાપુના હસ્તે ગાયનું દૂધ પીને પારણાં કર્યા હતા.
કેરળમાં ગૌહત્યા મુદ્દે અમદાવાદના સોલા વિદ્યાપીઠમાં ધરણા પર બેઠેલા ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસનો ગુરૂવારે અંતિમ દિવસ હતો. ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે ચૈતન્ય શંભુમહારાજે ભારતી બાપુના હસ્તે ગાયનું દૂધ પીને પારણાં કર્યા હતા. મોટી સંખ્યામાં સાધુ-સંતો તેમજ ભાજપ કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશની હત્યા અને બીફ ફેસ્ટના વિરોધમાં તેઓ બુધવારે 48 કલાકના ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસના સ્થળે બુધવારે જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. એ પછી રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ શંભુ મહારાજની મુલાકાત લીધી હતી. ગુરૂવારે ભાજપના યુવા મોરચાના કાર્યકરો અને નેતાઓ પણ ધરણાંમા જોડાયા હતા.
બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પર કેરળમાં થયેલ ગૌહત્યાના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.