અમદાવાદમાં ફરી વધ્યા ઘરફોડ ચોરીના બનાવો
અમદાવાદના સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે. જાણો વધુ
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે વધુ બે બનાવો શહેરના સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં શાહીબાગ અનનોલ રેસિડેન્સી માં રહેતા શૈલેષ શાહે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ સમીરનું એક ઘર મૅમનગર તીર્થનગરમાં આવેલું છે અને તે કોઈ સામાજિક કામ માટે ગત 10 તારીખથી પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. આ દરમિયાન સમીરના પાડોશીએ સમીરને ફોન કર્યો હતો કે તેમના મકાનનો પાછળનો દરવાજો અને એક રૂમ ની બારી તૂટેલી છે જેથી સમીરે તેમના ભાઈ શૈલેષ ને ફોન કરી ઘરે જઈ તપાસ કરવાનું કહ્યું હતું અને શૈલેશે તપાસ કરતા જોયું તો માસ્ટર બેડરૂમ માં બધો જ સામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરી માંથી સોના ચાંદીના દાગીના , ભગવાનની પૂજાના ચાંદી ના વાસણો, ઘડિયાળ સહિત કુલ રૂપિયા 7.80 લાખ ની મતા ગાયબ હતી.
આ અંગે ઘાટલોડિયા પોલીસે આઈપીસી ની કલમ 454, 457 અને 380 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સોસાયટી ના સીસીટીવી પણ તપાસી આરોપીઓ ના સગડ મેળવવા પ્રયાસ કર્યા છે. બીજી ઘટનામાં રાજેશ બોસ સોલા વંદે માતરમ ટાઉનશીપમાં રહે છે. પરિવાર સાથે લગ્ન માં ભાગ લેવા તે જ્યારે અન્ય વિસ્તારમાં ગયા હતા અને ચાર વાગ્યા ના સમયે પરત આવ્યા ત્યારે જોયું તો મુખ્ય દરવાજો તૂટેલો હતો અને મુખ્ય બેડરૂમમાંથી સોના ચાંદી ના દાગીના અને 15000ની રોકડ મળી કુલ રૂપિયા 1.50લાખની મતાની ચોરી થઈ હતી. આ અંગે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે. બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ રૂપિયા 8લાખ ની ચોરી ની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.