મિહિર શાહ પર વધુ એક કેસ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો
છેતરપીંડિના અનેક કેસ કરી ચૂકેલા મિહિર શાહ પર અમદાવાદની આનંદનગર પોલીસ સ્ટેશનમાં વધુ એક નોંધવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વધુ વાંચો અહીં.
અમદાવાદના જાણાતી બિલ્ડર અને અનેક લોકો સાથે છેતરપીંડી કરનાર મિહિર શાહ વિરૂધ્ધ રૂપિયા 75 લાખની છેતરપીંડીની વધુ એક ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ અગાઉ નવરંગપુરા અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં મિહિર શાહ વિરૂધ્ધ અગાઉ પાંચ જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. આનંદનગર પોલીસ મથકે ગઇકાલે નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી શ્રેણીક શાહે આક્ષેપ કર્યો છે કે મિહિર શાહે સ્વત્ન અવીશા નામની સ્કીમમાં રૂપિયા 75 લાખમાં જે ફલેટ વેચાણથી આપ્યો હતો તે જ ફલેટ અન્ય વ્યક્તિને બારોબાર વેચી દીધો હતો. ફરિયાદી શ્રેણીક શાહ સન બંગલો મેમનગર ખાતે રહે છે અને ગુરૂકુળ રોડ ખાતે રાજેન્દ્ર મોબાઇલ ફોન સ્ટોરના નામ દુકાન ધરાવે છે. તેમજ પ્રોપર્ટી ખરીદી કરીને નફા સાથે વેચવાનું કામ પણ કરે છે. જેથી માર્ચ 2015માં તેમણે મિહિર શાહ સાથે મુલાકાત કરી હતી. જેમાં મિહિર શાહે તેમને વિવિધ રેસીડેન્સીની સ્કીમોમાં રોકાણ કરવા માટેની ઓફર કરી હતી.
ત્યારબાદ શ્રેણીક શાહે આનંદનગર રોડ પર આવેલી સ્તવન અવીશા નામની સ્કીમમાં ફલેટ નંબર એ-103 બુક કરાવ્યો હતો. જેમાં રૂપિયા 75 લાખની કિંમત નક્કી કરવામાં આવી હતી. જૈ પૈકી રૂપિયા 60 લાખની લોન ઇન્ડિયા ઇન્ફોલાઇન હાઉસીંગ ફાઇનાન્સમાંથી લીધી હતી અને બાકીની રકમ મે 2016 સુધીમાં ચુકતે કરી દીધી હતી. જેથી મિહિર શાહે તેમની કંપની સંભવ ઇન્ફ્રાના લેટર પેડ પર પઝેશન લેટર પણ લખી આપ્યો હતો. પરંતુ, ત્યારબાદ શ્રેણીક શાહે ફ્લેટના દસ્તાવેજ કરવા માટે અવારનવાર મિહિર શાહને ફોન કર્યા હતા. પણ, મિહિર શાહ વિવિધ બહાના બતાવીને દસ્તાવેજની વાત ટાળવા લાગ્યા હતા. આ દરમિયાન તા. 22.2.17ના રોજ એક સ્થાનિક અખબારમાં પ્રોપર્ટી ક્લીરન્સની નોટીસ આપી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતુ કે આ ફ્લેટ મિહિર શાહે મહેન્દ્ર પટેલ નામના વ્યક્તિને બનાખાતના આધારે વેંચી દીધો હતો. જે અંગે આનંદનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.