અમદાવાદમાં રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાશે
અમદાવાદ, 11 જુલાઇ : ભાજપના નેતા અમિત શાહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમની હાજરીમાં પાર્ટીના કાર્યકરોને તેમનું અભિવાદન કરવાની તક મળી નથી. આ તક કાર્યકરો આગામી રવિવારે, 13 જુલાઇના રોજ પૂરી કરશે. આ માટેની ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે 13 જુલાઇના રોજ અમદાવાદમાં એસ જી હાઇવે પર આવેલા વાયએમસીએ ક્લબમાં તેમના પુત્ર જય શાહની સગાઇ છે. આ સગાઇ માટે અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા છે.
આ સપ્તાહે બુધવારે તેમને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નામની સત્તાવાર ઘોષણા બાદ અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જો કે કાર્યકરો તેમને મળી શક્યા ન હતા. આથી રવિવારના રોજ તેમના આગમને પગલે એરપોર્ટથી સીજી રોડ નજીક આવેલા તેમના નિવાસ સ્થાન સુધી ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે અમિત શાહ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ તેમનું કદ વધી ગયું છે. આ કારણે તેમના પુત્રની સગાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અગ્રણી નેતાઓ અમદાવાદમાં પધારશે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.