અ'વાદની શરમજનક ઘટના, ડોક્ટરે 2 બાળકોને 8 લાખમાં વેચી દીધા
અમદાવાદમાં સરસપૂર ખાતે આવેલી મેટરનીટી જનરલ હોસ્પીટલના ડો. ભરત અતીત સામે તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાંચને ચોંકાવનારી માહિતી મળી છે કે ડો. અતીતે પોરબંદરના એક દંપતિને બે બાળકો 8 લાખ રૂપિયામાં વેચી દીધા છે. અને તેના માટે તેમણે ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા છે. જોકે આ અંગે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.
ડો. અતીતની સામે ઘાટલોડિયાની એક સેરોગેટ મધરના બાળકને વેચી દેવાના મામલે તપાસ ચાલી રહી હતી. દરમિયાનમાં બે બાળકો 4-4 લાખમાં વેચી દીધાની માહિતી બહાર આવી છે. જોકે બીજા બાળકની સેરોગેટ મધર કોણ હતું તેની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની માહિતી મળતા જ અને ખોટા દસ્તાવેજ બનાવવા બદલ ડો. અતીત સામે અન્ય ફરિયાદ પણ દાખલ થઇ જશે.
ઘાટલોડિયાની મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસે તેમની સામે માનવ તસ્કરીનો ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ડો. અતીતે ધરપકડ થવાની બીકે આગોતરા જામીન અરજી કરી હતી જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. બાદમાં ડો. અતીતે હાઇકોર્ટનો સહારો લીધો હતો, જ્યા હાઇકાર્ટે તેમને તપાસમાં સહકાર આપવા અને હાજર રહેવા આદેશ આપ્યો છે.
ડોક્ટર દ્વારા બાળકોને વેચી દેવાનો શરમજનક કિસ્સો દેશમાં પહેલીવાર સામે આવ્યો છે. આ ઘટનામાં જેટલા લોકોનો પણ હાથ હશે તે તમામની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. તેમજ સેરોગેટ મધર કેસમાં એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવશે.